મોંઘવારી ઘટાડવા વ્યાજ દર વધે તો આર્થિક વિકાસ દર સ્થિર કેવી રીતે રહેશે?

મોંઘવારી ઘટાડવા વ્યાજ દર વધે તો આર્થિક વિકાસ દર સ્થિર કેવી રીતે રહેશે?

અમદાવાદ તા.8 જુન 2022,બુધવાર

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાની મોનેટરી પોલીસી કમિટીએ આજે વ્યાજ દરમાં 0.50 ટકા વધારાની જાહેરાત કરી છે. મે મહિના અગાઉ વધારેલા વ્યાજ દર સાથે હવે કુલ 0.90 ટકા વ્યાજ દર વધી ગયો છે. ધિરાણ નીતિની સમિક્ષમાં અર્થતંત્રની છણાવટ પણ કરવામાં આવી છે. રિઝર્વ બેન્ક હવે માને છે કે વર્ષ 2022-23 મોંઘવારીનો દર 6.7 ટકા રહે તેવો અંદાજ મૂક્યો છે. અગાઉના અંદાજ કરતા ફુગાવો ઊંચો રહે તેવી ધારણા મુકવામાં આવી છે. વર્ષનો આર્થિક વિકાસ દર 7.2 ટકા સ્થિર રાખવામાં આવ્યો છે. રિઝર્વ બેન્ક આર્થિક વૃદ્ધિને અસર થાય નહિ એ રીતે મોંઘવારી સામે પગલાં લેશે, મોંઘવારી વધતી અટકે એવી રણનીતિ અપનાવશે એમ ગવર્નર જણાવે છે 

એમના આંકલન, પગલાં અને વાસ્તવિકતા વચ્ચે મોટો ભેદ છે. મોંઘવારી જે વધી છે તેમાં ખાદ્યચીજો અને આયાતી  કોમોડિટીનો હિસ્સો મોટો છે. બન્ને ચીજોના માંગ અને પુરવઠા ઉપર કોઈ નિયંત્રણ દેશ પાસે નથી. બીજું, પુષ્કળ નાણા પ્રવાહિતા અને સસ્તા વ્યાજ દરથી જે માંગ વધી છે તે વધતા વ્યાજ દરથી ઘટશે એવી શક્યતા છે. જો માંગ ઘટે તો તેવી ચીજોનું ઉત્પાદન ઘટે અને તેનાથી આર્થિક વિકાસ દર ધીમો પડે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. એટલે ફુગાવો ઊંચો રહે અને આર્થિક વિકાસ દરને તેની અસર નહિ થાય એવું રિઝર્વ બેંક જે માને છે તે વધારે પડતું છે. 

વ્યાજના દર 0.90 ટકા વધી ગયા છે અને હજુ વધશે તેમાં કોઈ બેમત નથી. મે મહિનામાં અચાનક મળેલી મોનેટેરી પોલીસી કમિટી અનુસાર હવે મોંઘવારી સામે બચતને રક્ષણ આપવા માટે ફુગાવો કરતા વ્યાજ દર ઊંચા કરવામાં આવશે. વર્તમાન રેપો રેટ 5.9 ટકા અને ફુગાવો 6.7 ટકા હોય તો હજુ વ્યાજ 0.8 ટકા વધી શકે છે. 

ગ્રાહકોને મળતી હાઉસિંગ, પર્સનલ અને કન્ઝ્યુમર ડયુરેબલ લોનના દર રેપો સાથે જોડાયેલા છે એટલે તરત જ તે મોંઘી થશે. કોરોનાની મહામારીમાં ગ્રાહકોની ખરીદી ધીમી પડી છે અને મોંઘવારીની અસરમાં હજુ ધીમી પડશે ત્યારે ફુગાવો ભલે ઘટે પણ ઊંચા વ્યાજ દરથી માંગ ઘટશે તો શું તેની અર્થતંત્ર ઉપર, વિકાસ ઉપર અસર નહિ થાય? આ અંગે આવનારા દિવસોમાં જ ખ્યાલ આવશે.

Share: