×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

શ્રીલંકામાં સરકાર સમર્થકો અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસા ઃ સમગ્ર દેશમાં કરફ્યુ


(પીટીઆઇ) કોલંબો, તા. ૯

પોતાના ઇતિહાસના સૌથી ખરાબ આર્થિક સંકટથી પસાર થઇ રહેલા શ્રીલંકામાં સોમવારે રાષ્ટ્રવ્યાપી કરફ્યુ નાખવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજધાની કોલંબોમાં સેનાના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. 

આ પગલાં કોલંબોમાં રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્સેના કાર્યાલયની બહાર સરકાર સમર્થક કાર્યકરોએ સરકાર વિરોધી દેખાવકારો પર હુમલા કરતા ભરવામાં આવ્યો છે. આ અથડામણમાં ૧૭૪ લોકો ઘાયલ થયા છે. 

આ દરમિયાન મહિન્દા રાજપક્સેએ પોતાનું રાજીનામું શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયાને સુપ્રત કરી દીધું છે. મહિન્દા રાજપક્સે પછી તેમના મંત્રીમંડળમાં આરોગ્ય પ્રધાન રહેલા પ્રોફેસર ચન્ના જયસુમનાએ પણ રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સુપ્રત કરી દીધું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર સમર્થક કાર્યકરો અને સરકાર વિરોધી દેખાવકારો વચ્ચે થયેલી અથડામણમાં શાસક પક્ષના એક સાંસદ અને તેમના પર્સનલ સિક્યુરિટી ઓફિસર (પીએસઓ)નું મોત થયું છે. 

પોલીસના જણાવ્યા અનુસાર પોલોન્નારુવા જિલ્લાના સાંસદ અમરકિર્થી અથુકોરોલાને નિત્તમબુવાના ઉત્તર પશ્ચિમવિસ્તારમાં સરકાર વિરોેધી સમર્થકોએ ઘેરી લીધા હતાં. 

જો કે લોકોના જણાવ્યા અનુસાર સૌ પ્રથમ સાંસદની કારમાંથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ગોળીબારથી રોષે ભરાયેલા લોકોએ જ્યારે કાર પર હુમલો કર્યો તો આ સાંસદ ત્યાંથી ભાગી ગયા હતાં અને એક બિલ્ડિંગમાં આશરો લીધો હતો. આ બિલ્ડિંગમાં જ તેમણે પોતાની રિવોલ્વરથી આત્મહત્યા કરી લીધી હતી.

વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યા પછીવડાપ્રધાન મહિન્દા રાજપક્સેએ સામાન્ય પ્રજાને સંયમ દાખવવાની અપીલ કરી છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું છે કે જ્યારે લાગણીઓ ઉચ્ચ સ્તરે પહોંચી જાય છે ત્યારે અમે એક વસ્તુ યાદ રાખવી જોઇએ કે હિંસા ફક્ત હિંસાને જન્મ આપશે.

ઉલ્લેખનીય છે કે શ્રીલંકામાં આર્થિક કટોકટીની વચ્ચે ૬ મેથી દેશમાં ઇમરજન્સી લાગુ કરવામાં આવી છે. દેખાવકારોએ પૂર્વ પ્રધાન જોનસન ફર્નાડોના માઉન્ટ લાવિનિયા સ્થિત મકાન અને સાંસદ સનથ નિશાંતના ઘર પર દેખાવકારોએ હુમલો કરી આગ ચાંપી હતી.