કોરોનાના કારણે બગડી ચીનની હાલત, શાંઘાઈ છોડીને ભાગી રહ્યા છે લોકો

કોરોનાના કારણે બગડી ચીનની હાલત, શાંઘાઈ છોડીને ભાગી રહ્યા છે લોકો


– બેઈજિંગમાં લાખો લોકો બંધનમાં, સોશિયલ મીડિયા દ્વારા શહેર છોડવા માટેના ઉપાયો પુછ્યા

શાંઘાઈ, તા. 29 એપ્રિલ 2022, શુક્રવાર

ચીનના શાંઘાઈ ખાતે કોરોનાના કેસમાં અનપેક્ષિત વધારો થયો છે. આ કારણે ચીનમાં ભારે હાહાકાર વ્યાપ્યો છે અને સરકારે સંક્રમણ ફેલાતું અટકાવવા માટે લોકડાઉનનો રસ્તો અપનાવ્યો છે. સ્થિતિ એ હદે વણસી ગઈ છે કે, કારોબાર ક્ષેત્રે મહત્વના એવા આ શહેરના લોકો શહેર છોડીને ભાગવા માટે મજબૂર બન્યા છે. બેઈજિંગમાં પણ લાખો લોકોને બંધનમાં રાખવામાં આવ્યા છે. શાળાઓ બંધ કરી દેવાઈ છે અને લોકોને ઘરમાં જ રહેવા આદેશ આપવામાં આવ્યો છે. 

સ્થાનિક પેકર્સ અને મૂવર્સ ઉપરાંત કેટલીક કાયદાકીય ફર્મના કહેવા પ્રમાણે ચીનના સૌથી મહત્વપૂર્ણ શહેર શાંઘાઈના લોકો ઝડપથી ભાગી રહ્યા છે. જ્યારે કેટલાક લોકોએ સોશિયલ મીડિયા દ્વારા લોકોની સલાહ માગી હતી કે, શહેરમાં લોકડાઉન લાગુ થયું છે, પ્રતિબંધો વચ્ચે શહેર છોડવા માટે કયા રસ્તાઓ અપનાવી શકાય. 

2.5 કરોડની વસ્તીવાળા શહેરમાં હાહાકાર

આશરે 2.5 કરોડની વસ્તી ધરાવતા શહેરમાં મલ્ટીનેશનલ કંપનીઓની ભરમાર છે. ત્યાં મોટી સંખ્યામાં વિદેશીઓ રહે છે. જોકે કોવિડ કેસ વધ્યા બાદ તેમણે પલાયન શરૂ કરી દીધું છે. આંતરરાષ્ટ્રીય મૂવર્સ શાંઘાઈ M&Tના સંસ્થાપક માઈકલ ફાઉંગે જણાવ્યું કે, સામાન્ય રીતે તેમને દર મહિને આશરે 30-40 ઓર્ડર મળતા હતા પરંતુ આ મહિને ઓર્ડરની સંખ્યામાં ભારે મોટો ઉછાળો આવ્યો છે. 

ભોજન માટે ભટકી રહ્યા છે વિદેશી નાગરિકો

શાંઘાઈમાં કોવિડ કેસની સંખ્યા વધ્યા બાદ મુશ્કેલીઓ પણ વધી ગઈ છે. સ્થિતિ એટલી ખરાબ છે કે, લોકોને ભોજન પણ નસીબ નથી થઈ રહ્યું. વિદેશીઓએ પોતાને ભોજનની સગવડ કરવા કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે અંગે હૈયાવરાળ ઠાલવી હતી. ઉપરાંત સતત ઘરનું કોઈ સદસ્ય સંક્રમિત ન થઈ જાય તેવો ડર રહે છે કારણ કે, જો કોઈને કોવિડ થઈ જાય તો તેને દૂર આઈસોલેશનમાં લઈ જવામાં આવે છે. તેવામાં પરિવારજનોથી દૂર થવાનો ડર પણ સતાવી રહ્યો છે. 

વિદેશીઓના કહેવા પ્રમાણે શાંઘાઈ સરકાર માટે લોકોના જીવન અને મેન્ટલ હેલ્થનું કોઈ જ મહત્વ નથી ઉપરાંત લોકોને ઘરથી એરપોર્ટ જવા માટે પહેલા આશરે 30 ડોલરનો ખર્ચો થતો હતો તેના બદલે હવે કેબ માટે 500 ડોલર ચુકવવા પડે છે અને અમુક ફ્લાઈટ રદ્દ થવાના કારણે લોકો એરપોર્ટ પર ફસાયા છે. 

Share: