ઝારખંડમાં રોપવેનો અકસ્માત : એકનું મોત અને ફસાયેલા 25ને બચાવાયા

ઝારખંડમાં રોપવેનો અકસ્માત : એકનું મોત અને ફસાયેલા 25ને બચાવાયા

દેવઘર : ઝારખંડના દેવઘરમાં કેબલ-કાર રોપવે અકસ્માતમાં એકનું મોત થયું છે અને ૨૫ને બચાવાયા છે. આ દુર્ઘટનાના ૨૬ કલાક પછી પણ હજી બીજા ૨૩ જણા અટવાયેલા છે. હવાઇદળના બે હેલિકોપ્ટર કામે લાગ્યા ત્યારે લોકોને બચાવી શકાયા હતા. રોપ-વેમાં કોઈપણ પ્રકારની ભાંગફોડિયા પ્રવૃત્તિ કરવામાં આવતા કેબલ કાર એકબીજા સાથે અથડાતી જોવા મળી હતી. 

દેવગઢના ડેપ્યુટી કમિશ્નર મંજુનાથ ભજંત્રીએ જણાવ્યું હતું કે આ રોપવે અત્યંત ગાઢ જંગલના વિસ્તારોમાંથી પસાર થઈ રહ્યો છે. તેના લીધે પણ બચાવકાર્ય અત્યંત મુશ્કેલ બન્યું છે. ફક્ત હવાઈ માર્ગે જ બચાવી શકાય છે. 

આ ટ્રોલીમાં ૧૯ કલાક સુધી ફસાયેલા રહેનારા સંદીપે જણાવ્યું હતું કે મને લાગે છે કે બાબા બૈદ્યનાથે મને જીવવાની બીજી તક આપી છે. એક આખી રાત ટ્રોલીમાં કાઢવાનો અનુભવ હું વર્ણવી શકું તેમ નથી. આ ડરામણો અનુભવ હતો. ટ્રોલી લગભગ ૧૦૦ ફૂટની ઊંચાઈએ હવામાં અદ્ધર લટકેલી હતી. 

તેણે જણાવ્યું હતું કે આ ટ્રોલી ચાલતી હતી ત્યારે અચાનક જ તેનો પાવર ઓફ થઈ ગયો હતો. તેના લીધે ટ્રોલીઓ વચ્ચે જ અટકી ગઈ હતી. મેં જ્યારે હેલ્પલાઇન નંબર પર સાંજે ચારથી પાંચની વચ્ચે ફોન લગાવ્યો તો મને કહેવામાં આવ્યું કે ટેકનિકલ સ્નેગના લીધે ટ્રોલીઓ અટકી ગઈ છે. તેને સુધારવામાં આવી રહ્યો છે. મેં ફરીથી સાત વાગે ફોન કર્યો હતો. તે સમયે તેઓએ જણાવ્યું હતું કે રોપવે કામ કરી રહ્યો નથી, હવે તમને ચોપરોની મદદથી બચાવવામાં આવશે. અમે ટ્રોલીમાં ચાર જણા હતા અને બધા ડરી ગયા હતા. 

પશ્ચિમ બંગાળના દેવાંગ જયપાલે જણાવ્યું હતું કે બાબા બૈદ્યનાથની પૂજા કર્યા પછી હું રોપવે રાઇડનો આનંદ ઉઠાવવા માંગતો હતો, પણ કોણ જાણતું હતું કે મારે ટ્રોલીમાં આટલો સમય સબડવું પડશે. કોઈપણ પ્રકારના ખોરાક અને પાણી વગર અમે રવિવારની રાત ટ્રોલીમાં કાઢી.સોમવારે સવારે અમને થોડું ફૂડ અને પાણી ડ્રોન દ્વારા આપવામાં આવ્યા. અમારો જીવ બચાવવા બદલ અમે એનડીઆરએફ, હવાઇદળ અને દેવઘર વહીવટીતંત્રના આભારી છીએ.

Share: