રશિયાનું બોલ્યા બાદ ફોક : મેકલિયેવ પર મિસાઈલમારો, 14નાં મોત

રશિયાનું બોલ્યા બાદ ફોક : મેકલિયેવ પર મિસાઈલમારો, 14નાં મોત


– રશિયા હુમલો ઘટાડવા આપેલા વચનનું પાલન કરે : ઝેલેન્સ્કી

– નોર્વેએ બે હજાર એન્ટિ ટેન્ક મિસાઇલ આપવાની જાહેરાત કરી : શરણાર્થીઓની સંખ્યા 40 લાખને વટાવી ગઈ

કીવ : રશિયાએ કીવ અને ખાર્કિવ જેવા શહેરો પરના હુમલા ઘટાડવાના આપેલા વચન વચ્ચે આ શહેરોની બહાર તેની ફોજ ખડકી દીધી છે. તેની સાથે મેકલિયેવ પરના હુમલામાં ૧૪ના મોત નીપજ્યા હતા. આમ એકબાજુએ મંત્રણામાં પ્રગતિ પછી યુદ્ધનોઅંત આવવાની આશા વધી ત્યારે રશિયાએ તેના હુમલા પરની તીવ્રતામાં કોઈ ઘટાડો કર્યો નથી. આ બતાવે છે કે રશિયાની વાત કેટલી વિશ્વસનીય છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે રશિયાએ મંત્રણામાં આપેલી ખાતરીનું તે વાસ્તવિક ધોરણે પાલન કરી બતાવે પછી જ તેની વાત સાચી મનાય છે. મંત્રણાની તેની ખાતરીઓ યુદ્ધના મેદાન પર હકીકતમાં પરિણમતી દેખાતી નથી. 

યુક્રેનના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે રશિયાએ માઇકોલેઇવના નવ માળના સરકારી બિલ્ડિંગ પર કરેલા હુમલામાં નવના મોત થયા હતા. બ્રિટનના સંરક્ષણ મંત્રાલયે ચેતવણી આપી છે કે ભારે નુકસાનના લીધે રશિયાના દળો ભારે નુકસાન સહન કરવું પડયુ છે. તેના લીધે કેટલાક યુનિટ્સ બેલારૃસ અને રશિયા પરત જઈ શકે છે. 

મોસ્કો આ રીતે ગ્રાઉન્ડ બેટલમાં મળેલા પરાજયની ભરપાઈ માસ આર્ટિલરી અને મિસાઇલ હુમલા દ્વારા કરી શકે છે. રશિયાએ પૂર્વી શહેર ઇઝીઉમ અને પૂર્વી ડોનેત્સ્ક પ્રાંત પર કરેલા હુમલા આ બાબતનો પુરાવો છે. 

યુદ્ધ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર સંઘે જણાવ્યું છે કે યુક્રેનના શરણાર્થીઓની સંખ્યા ૪૦ લાખને વટાવી ગઈ છે. યુરોપમાં બીજા વિશ્વયુદ્ધ પછીનું આ સૌથી મોટું શરણાર્થી સંકટ છે. બીજી બાજુ પોલેન્ડે ૨૦૨૨ના અંત સુધીમાં રશિયાથી બધા પ્રકારના ઓઇલની આયાત બંધ કરવાનો નિર્ણય લીધો છે. 

આનાથી વિપરીત જર્મનીએ ચેતવણી આપી છે કે લાદવામાં આવેલા પ્રતિબંધોના લીધે રશિયા રુબલમાં ચૂકવણી ન થઈ તો ગેસનો પુરવઠો અટકાવી શકે છે. 

ક્રેમલિને જણાવ્યું છે કે રશિયાના ગેસની રુબલની ચૂકવણી કરવામાં થોડો સમય લાગશે. પુતિને તેના તંત્રને આદેશ આપ્યો છે કે યુરોપીયન ગ્રાહકો પશ્ચિમી દેશોના ચલણના બદલે રૃબલમાં ચૂકવણી થાય તે સુનિશ્ચિત કરે. જો કે પશ્ચિમે રશિયાની માંગ નકારી કાઢી છે.

આ ઉપરાંત નોર્વેએ જણાવ્યું છે કે તે યુક્રેનને બે હજાર એન્ટિ-ટેન્ક મિસાઇલ પૂરા પાડશ, જેની મદદથી રશિયન ઘૂસણખોરીનો સામનો કરી શકાય. નોર્વેના સંરક્ષણ પ્રધાન રોજર એનોકસેને જણાવ્યું હતું કે જો યુક્રેન રશિયાનો હુમલો ખાળવામાં સફળ રહ્યું તો તેના લીધે યુક્રેનના સાર્વભૌમત્ત્વનું રક્ષણ થશે અને સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલની આશા વધશે. યુરોપના બીજા દેશો સાથે સંઘર્ષમાં નહી ઉતરી શકાય.

Share: