GATE 2022: નિર્ધારિત શિડ્યુલ મુજબ જ યોજાસે IIT ગેટની પરીક્ષા, સુપ્રીમ કોર્ટનો પરીક્ષા સ્થગિત કરવા ઈનકાર

GATE 2022: નિર્ધારિત શિડ્યુલ મુજબ જ યોજાસે IIT ગેટની પરીક્ષા, સુપ્રીમ કોર્ટનો પરીક્ષા સ્થગિત કરવા ઈનકાર


– ઉમેદવારો પોતાના એડમિટ કાર્ડનો ઉપયોગ કર્ફ્યુ પાસ તરીકે પણ કરી શકશે

નવી દિલ્હી, તા. 03 ફેબ્રુઆરી, 2022, ગુરૂવાર

સુપ્રીમ કોર્ટે ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઈન એન્જિનિયરીંગ (GATE) પરીક્ષાને સ્થગિત કરવાની માગણી ફગાવી દીધી છે. સુનાવણી બાદ કોર્ટે જણાવ્યું કે, અંતિમ સમયે પરીક્ષા સ્થગિત કરવાથી અરાજકતાની સ્થિતિ સર્જાઈ શકે છે. પરીક્ષાને હવે 2 દિવસ એટલે કે, 48 કલાકનો જ સમય બાકી છે. તેવામાં કોર્ટે પરીક્ષા પર રોક લગાવવાની માગણીનો અસ્વીકાર કર્યો છે. 

કોર્ટના નિર્ણય બાદ હવે નિર્ધારિત શિડ્યુઅલ મુજબ જ પરીક્ષાનું આયોજન થશે. આગામી 05, 06, 12 અને 13 ફેબ્રુઆરીના રોજ ગેટની પરીક્ષા આયોજિત કરવામાં આવશે. પરીક્ષા માટેના એડમિટ કાર્ડ આપી દેવામાં આવ્યા છે. ઉમેદવારો પોતાના એડમિટ કાર્ડનો ઉપયોગ કર્ફ્યુ પાસ તરીકે પણ કરી શકશે. પરીક્ષા માટેના ટ્રાવેલ પાસ પણ જાહેર કરી દેવાયા છે. 

GATE એક ભરતી-સહ-પરીક્ષા છે જે મુખ્યરૂપે કેટલીક સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓ દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સીઝમાં એડમિશન અને ભરતી માટે એન્જિનિયરીંગ અને સાયન્સ ગ્રેજ્યુએટ માટે આયોજિત કરવામાં આવે છે. ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન (IIT) ખડગપુર GATE 2022 માટે ઓર્ગેનાઈઝિંગ બોડી છે. પરીક્ષા 2 સ્લોટમાં આયોજિત કરવામાં આવશે. પહેલો સ્લોટ સવારે 9:00 વાગ્યાથી બપોરના 12:00 વાગ્યા સુધીનો અને બીજો સ્લોટ બપોરે 2:30 વાગ્યાથી સાંજના 5:30 વાગ્યા વચ્ચેનો હશે. 

Share: