'અસલી હિંદુત્વવાદી હોત તો જિન્નાને ગોળી મારેત, ગાંધીને કેમ મારી', સંજય રાઉતનું ગોડસે અંગે નિવેદન

'અસલી હિંદુત્વવાદી હોત તો જિન્નાને ગોળી મારેત, ગાંધીને કેમ મારી', સંજય રાઉતનું ગોડસે અંગે નિવેદન


– રાહુલ ગાંધીએ પણ ‘હિંદુત્વવાદી’નો ઉપયોગ કરીને બાપુને યાદ કર્યા હતા

નવી દિલ્હી, તા. 30 જાન્યુઆરી, 2022, રવિવાર

શિવસેનાના સાંસદ સંજય રાઉતે મહાત્મા ગાંધીની હત્યા કરનારા ગોડસે અને હિંદુત્વ અંગે નિવેદન આપ્યું છે. રાઉતે કહ્યું હતું કે, પાકિસ્તાનની માગણી જિન્નાએ કરી હતી, માટે જો કોઈ અસલી ‘હિંદુત્વવાદી’ હોતું તો તે ગાંધીને નહીં જિન્નાને ગોળી મારેત. 

સંજય રાઉતે કહ્યું કે, જો એવું કરવામાં આવ્યું હોત તો તે કૃત્ય દેશભક્તિ ગણાતું. વધુમાં કહ્યું કે, ગાંધીના અવસાન પર આજે પણ દુનિયા શોકમાં છે. 

સંજય રાઉતે કહ્યું, ‘જો કોઈ અસલી હિંદુત્વવાદી હોત તો તે જિન્નાને ગોળી મારેત. ગાંધીને ગોળી કેમ મારેત. જિન્નાએ પાકિસ્તાનની માગણી કરી હતી. જેણે દેશનું વિભાજન કર્યું, જેણે પાકિસ્તાનની માગણી કરી, એટલે કે જિન્નાને ગોળી મારવાની જરૂર હતી. જો તમારામાં હિંમત હતી તો જિન્નાને ગોળી મારવી હતી. એક ફકીર ગાંધીને ગોળી મારવામાં આવી તે યોગ્ય નહોતું.’

ઉલ્લેખનીય છે કે, રાઉતના નિવેદન પહેલા કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ પણ આ મુદ્દે રિએક્ટ કર્યું હતું અને એક ટ્વિટ કરી હતી. રાહુલ ગાંધીએ પણ ‘હિંદુત્વવાદી’નો ઉપયોગ કરીને બાપુને યાદ કર્યા હતા. રાહુલ ગાંધીએ લખ્યું હતું કે, ‘એક હિંદુત્વવાદીએ ગાંધીજીને ગોળી મારી હતી. સૌ હિંદુત્વવાદીઓને લાગે છે કે, ગાંધીજી ન રહ્યા. જ્યાં સત્ય છે, ત્યાં આજે પણ બાપુ જીવે છે!’

આજે મહાત્મા ગાંધીની 74મી પુણ્યતિથિ છે. આજના દિવસે એટલે કે, 30 જાન્યુઆરી, 1948ના રોજ નાથુરામ ગોડસેએ ગોળી મારીને મોહનદાસ ગાંધીની હત્યા કરી હતી. મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર દેશ આજે તેમને વંદન કરી રહ્યો છે. 

Share: