PM મોદીની સુરક્ષામાં ચૂક પરંતુ CM ચન્નીએ ફોન પણ ન ઉઠાવ્યોઃ નડ્ડાએ લગાવ્યો મોટો આરોપ

PM મોદીની સુરક્ષામાં ચૂક પરંતુ CM ચન્નીએ ફોન પણ ન ઉઠાવ્યોઃ નડ્ડાએ લગાવ્યો મોટો આરોપ


– પંજાબની કોંગ્રેસ સરકાર દ્વારા ઉપયોગમાં લેવાયેલી આ રણનીતિ લોકશાહીમાં વિશ્વાસ ધરાવતી કોઈ પણ વ્યક્તિને પીડા આપશેઃ નડ્ડા

નવી દિલ્હી, તા. 05 જાન્યુઆરી, 2022, બુધવાર

પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં મોટી ચૂક મામલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની પર ગંભીર આરોપો લગાવ્યા છે. નડ્ડાએ દાવો કર્યો છે કે, જ્યારે પીએમ મોદીનો કાફલો ફસાયો ત્યારે મુખ્યમંત્રી ચન્નીએ ફોન પર વાત કરવાની અને આ મુદ્દાનો ઉકેલ લાવવાની મનાઈ કરી દીધી હતી. 

પંજાબમાં આગામી ચૂંટણીમાં મતદારોના હાથે આકરી હારના ડરથી કોંગ્રેસ સરકારે વડાપ્રધાનના કાર્યક્રમને રદ્દ કરાવવા તમામ સંભવિત પ્રયત્નો કર્યા હતા. આવું કરતી વખતે તેમણે એ પણ યાદ ન રાખ્યું કે, વડાપ્રધાન મોદી ભગત સિંહ અને અન્ય શહીદોને શ્રદ્ધાંજલિ આપવા જઈ રહ્યા છે અને તેમને વિકાસના કાર્યોની આધારશિલા પણ રાખવાની છે. 

વધુમાં નડ્ડાએ કહ્યું કે, પોતાની નિમ્ન કક્ષાની હરકતોના કારણે પંજાબની કોંગ્રેસ સરકારે દેખાડી દીધું છે કે, તેઓ વિકાસના વિરોધી છે અને તેમના મનમાં સ્વતંત્રતા સેનાનીઓ માટે પણ કોઈ સન્માન નથી. 

આ પીએમ મોદીની સુરક્ષામાં મોટી ચૂકઃ નડ્ડા

ભાજપના અધ્યક્ષે વધુમાં લખ્યું હતું કે, સૌથી મોટી ચિંતાની વાત એ છે કે, આ ઘટના વડાપ્રધાન મોદીની સુરક્ષામાં મોટી ચૂક હતી. પંજાબના પ્રમુખ સચિવ અને ડીજીપીથી લઈને એસપીજીને કહેવામાં આવ્યું હતું કે, પીએમ મોદીનો રૂટ સાફ છે તેમ છતાં પ્રદર્શનકારીઓને ત્યાં જવા દેવામાં આવ્યા. એનાથી પણ ખરાબ વાત એ છે કે, સીએમ ચન્નીએ ફોન પર વાત કરવાની અને આ મુદ્દાને ઉકેલવાની ના પાડી દીધી. પંજાબની કોંગ્રેસ સરકાર દ્વારા ઉપયોગમાં લેવાયેલી આ રણનીતિ લોકશાહીમાં વિશ્વાસ ધરાવતી કોઈ પણ વ્યક્તિને પીડા આપશે. 

નડ્ડાએ પોલીસ પર લગાવ્યા આરોપ

નડ્ડાએ કહ્યું કે, રાજ્ય પોલીસને લોકોને રેલીમાં સામેલ થતાં અટકાવવા માટે નિર્દેશ આપવામાં આવ્યો હતો. પોલીસની મનમાની અને પ્રદર્શનકારીઓની મિલીભગતના કારણે રેલીની ભીડના કારણે બસો પણ ફસાઈ ગઈ.

Share: