આગામી બજેટમાં ખેડૂતો માટે મોદી સરકાર મોટુ એલાન કરે તેવી શક્યતા, જાણો શું છે પ્રસ્તાવ

આગામી બજેટમાં ખેડૂતો માટે મોદી સરકાર મોટુ એલાન કરે તેવી શક્યતા, જાણો શું છે પ્રસ્તાવ

નવી દિલ્હી, તા. 2. જાન્યુઆરી 2022 રવિવાર

એગ્રિકલ્ચર સેકટરને પ્રોત્સાહન આપવા માટે આગામી બજેટમાં મોદી સરકાર ખેતી માટે અપાતી લોનનુ ટાર્ગેટ વધારીને 18 લાખ કરોડ રુપિયા કરે તેવી શક્યતા છે.

એક ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ રજૂ થવાનુ છે.વર્તમાન નાણાકીય વર્ષ માટે ખેડૂતોને લોન આપવા માટેનુ લક્ષ્ય 16.5 લાખ કરોડ રુપિયા છે.સરકાર દર વર્ષે ખેતી માટેની લોનનુ બજેટ વધારી રહી છે.આગામી નાણાકીય વર્ષ માટે પણ આ લક્ષ્ય વધારીને 18 લાખ કરોડ રુપિયા કરવામાં આવી શકે છે.

સરકાર બેન્કિંગ સેકટર માટે દર વર્ષે ખેતી માટેની લોનનુ ટાર્ગેટ આપતી હોય છે.છેલ્લા કેટલાક વર્ષોથી આ ટાર્ગેટમાં દર વર્ષે વધારો થઈ રહ્યો છે.જેમ કે 2017-18ના વર્ષમાં લોનનુ લક્ષ્ય 10 લાખ કરોડ રુપિયા હતુ પણ ખેડૂતોને 11.68 લાખ કરોડ રુપિયાની લોન અપાઈ હતી.

કૃષિ ક્ષેત્રમાં ઉંચા ઉત્પાદન માટે લોનની ભૂમિકા મહત્વની રહેતી હોય છે.સરકારી બેન્કો દ્વારા અપાતી લોનના કારણે ખેડૂતોને ઉંચા વ્યાજે ખાનગી શાહૂકારો પાસેથી લોન લેવાની જરુર ઓછી પડે છે.

ત્રણ લાખ રુપિયાની ઓછી મુદતની લોન માટે સરકાર વ્યાજ પર બે ટકા સબસિડી પણ આપતી હોય છે.આમ ખેડૂતોને આ પ્રકારની લોન માત્ર સાત ટકાના વ્યાજે ઉપલબ્ધ થતી હોય છે.આ સિવાય સમયસર લોન ચુકવવામાં આવે તો ખેડૂતોને ત્રણ ટકા વ્યાજ બીજુ માફ કરવામાં આવે છે.આ સંજોગોમાં ખેડૂતોને ચાર ટકાએ ખેતીની લોન મળી શકે છે.

Share: