પિયૂષ જૈનનુ બે મહિનાથી થઈ રહ્યુ હતુ ટ્રેકિંગ, જાણો… શું છે દરોડાનું ગુજરાત કનેક્શન?

પિયૂષ જૈનનુ બે મહિનાથી થઈ રહ્યુ હતુ ટ્રેકિંગ, જાણો… શું છે દરોડાનું ગુજરાત કનેક્શન?

કાનપુર, તા. 29 ડિસેમ્બર 2021 બુધવાર

કાનપુરમાં ધનકુબેર પિયુષ જૈનના ઠેકાણા પર પડેલા દરોડામાં અત્યાર સુધી 195 કરોડ રુપિયા કેશ મળી ચૂક્યા છે જે અત્યાર સુધી ED દ્વારા જપ્ત કરવામાં આવેલી સૌથી મોટી રકમ છે જ્યારે કન્નૌજ સ્થિત પિયુષ જૈનના પૈતૃક ઘરેથી ટીમને 19 કરોડ કેશ, 10 કરોડ કરતા વધારે કિંમતનુ 23 કિલો સોનુ અને 6 કરોડ રુપિયાનુ ચંદનનુ તેલ મળ્યુ છે.

પિયૂષ જૈને આ નોટોનુ અંબર કેવી રીતે ઉભુ કર્યુ હતુ, જેના ખુલાસા ધીમે-ધીમે થઈ રહ્યા છે. પિયૂષ જૈનની કંપની જ્યારે જીએસટી ચોરી કરીને સરકારને ચૂનો લગાવી રહી હતી ત્યારે તેણે વિચાર્યુ પણ નહોતુ કે આ રમત જલ્દી ખતમ થવાની છે.

જાણકારી મળી છે કે પિયૂષ જૈન અને તેની કંપનીની પાછળ બે મહિનાથી ટ્રેકિંગ થઈ રહ્યુ હતુ. જીએસટીની અમદાવાદ ઈન્ટેલિજન્સ યુનિટના એડિશનલ ડાયરેક્ટર ઝાકિર હુસેને જણાવ્યુ કે આ સમગ્ર રેડ ઘણી જ પડકારરૂપ હતી અને આ કેસ પાછળ બે મહિનાથી ટ્રેકિંગ થઈ રહ્યુ હતુ.

પિયુષ જૈન સુધી કેવી રીતે પહોંચ્યા કાયદાના હાથ

અગાઉ સોમવારે સાંજે નાણા મંત્રાલયે જણાવ્યુ હતુ કે જીએસટી ડિરેક્ટોરેટ જનરલ ઓફ ઈન્ટેલિજન્સની અમદાવાદ યુનિટે 22 ડિસેમ્બરે સર્ચ ઓપરેશન ચલાવ્યુ હતુ. જેમાં કાનપુરમાં શિખર બ્રાંડ પાન મસાલા અને તંબાકુ ઉત્પાદન ફેક્ટરી, ગણપતિ રોડ કેરિયર્સના કાનપુર સ્થિત ઓફિસ અને ગોડાઉન, ઓડોકેમ ઈન્ડસ્ટ્રીના કાનપુર અને કન્નૌજ સ્થિત ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ પિયૂષ જૈનની કંપની છે.

આ ટીમે ગણપતિ રોડ કેરિયર્સના ચાર ટ્રકની તપાસ કરી. આ ટ્રક શિખરના પાન મસાલા અને તંબાકુ લઈને જતા હતા પરંતુ તેમણે જીએસટીની પેમેન્ટ કરી નહોતી. જ્યારે અધિકારીઓએ ચોપડે લખેલા સ્ટોક સાથે કારખાનામાં રહેલા સ્ટોકનું મેચિંગ કરતાં આ બાબત પ્રકાશમાં આવી હતી. મિલાનમાં કાચો માલ અને ફિનિશ્ડ પ્રોડક્ટની અછત હતી.

Share: