DGCA: 15 ડિસેમ્બરથી નહીં શરૂ થાય આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ, ઓમિક્રોનના જોખમને કારણે નિર્ણય

DGCA: 15 ડિસેમ્બરથી નહીં શરૂ થાય આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ, ઓમિક્રોનના જોખમને કારણે નિર્ણય


– પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગળની તારીખ પર નિર્ણય લેવામાં આવશે

નવી દિલ્હી, તા. 01 ડિસેમ્બર, 2021, બુધવાર

આગામી 15 ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ શરૂ કરવાના નિર્ણયને ટાળી દેવામાં આવ્યો છે. DGCAએ કહ્યું છે કે, તેઓ આ વિષય પર હજુ વિચારણા કરી રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ સેવાઓ ફરીથી શરૂ કરવાનો નિર્ણય ઝડપથી લેશે. DGCAએ કહ્યું કે, તે કોરોના વાયરસના કેસમાં વધારાને જોતા સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે. હાલ 15 ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ શરૂ નહીં થાય. આગળની તારીખ પર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે. 

આ પહેલા નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું હતું કે, કોમર્શિયલ આંતરરાષ્ટ્રીય યાત્રી સેવાઓને 15 ડિસેમ્બરથી ફરીથી શરૂ કરવાની બાબતમાં ગૃહ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને સ્વાસ્થ્ય પરિવાર કલ્યાણ મંત્રાલયને પરામર્શ કરવામાં આવ્યું હતુ. ત્યાર બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે, ભારતથી આવનારી અને જનારી વાણિજ્યિક આંતરરાષ્ટ્રીય સેવાઓ 15 ડિસેમ્બર 2021થી ફરીથી શરૂ થઈ શકે છે. ગૃહ મંત્રાલય દેશોની ત્રણ યાદી તૈયાર કરશે. તેના આધાર પર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સનું સંચાલન કરવામાં આવશે. જો કે તેના પછી ઓમિક્રોને સ્થિતિ જ બદલી નાખી છે.

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે તે દેશોની યાદીમાં હોંગકોંગ અને ઈઝરાયેલને પણ જોડી દીધા છે અને ત્યાંથી આવ્યા પછી ટેસ્ટ સહિત વધારાના નિયમોનું પાલન કરવું પડશે. જેમાં બ્રિટન સહિત યુરોપના દેશ, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોત્સવાના, ચીન, મોરીશસ, ન્યુઝીલેન્ડ, જિમ્બાબ્વે, સિંગાપુર, હોંગકોંગ અને ઈઝરાયેલ જેવા દેશોનો સમાવેશ થયો છે.

Share: