×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પુલવામા એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદના ટોપ કમાન્ડર સહિત 2 આતંકવાદી ઠાર મરાયા


- સુરક્ષા દળોએ નવેમ્બર મહિનામાં 5 અથડામણમાં 12 આતંકવાદીઓને ઠાર માર્યા હતા

નવી દિલ્હી, તા. 01 ડિસેમ્બર, 2021, બુધવાર

સુરક્ષાદળોએ પુલવામા જિલ્લામાં 2 પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર માર્યા છે. તેમાં જૈશ-એ-મોહમ્મદના ટોપ આતંકવાદી કમાન્ડર યાસિર પારેનો પણ સમાવેશ થાય છે. તે આઈઈડી બનાવવાનો માસ્ટરમાઈન્ડ હોવાનું સામે આવ્યું છે. બીજા આતંકવાદીની ઓળખ ફુરકાન તરીકે સામે આવી છે. તે ઘણાં લાંબા સમયથી આ વિસ્તારમાં સક્રિય હતો. સુરક્ષા દળોએ રાજપોરામાં આતંકવાદીઓ હોવાની સૂચના મળ્યા બાદ મંગળવારે રાતે સમગ્ર વિસ્તારમાં ચેકિંગ શરૂ કરી દીધું હતું. 

સઘન સુરક્ષા વ્યવસ્થાના કારણે તે વિસ્તારમાં અથડામણ શરૂ થઈ ગઈ હતી. સુરક્ષા દળોએ નાગરિકોની સુરક્ષા માટે તમામ ઉચિત પ્રબંધ પણ કરી લીધા હતા. હકીકતે એજન્સીઓને રાજપોરા વિસ્તારમાં આવેલા એક મકાનમાં આતંકવાદીઓની ઉપસ્થિતિની જાણકારી મળી હતી. ત્યાર બાદ પોલીસ-સીઆરપીએફ અને સેનાએ સંયુક્ત ટીમ બનાવીને તે વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. તે વિસ્તારમાં 2-3 પાકિસ્તાની આતંકવાદી હોવાના અહેવાલ હતા જેમની ઘણાં લાંબા સમયથી તલાશ હતી. 

સુરક્ષા દળોએ નવેમ્બર મહિનામાં 5 અથડામણમાં 12 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ વર્ષે ઘાટીમાં થયેલા વિવિધ ઓપરેશન્સ દરમિયાન અત્યાર સુધીમાં 148 આતંકવાદીઓનો સપાટો બોલાવવામાં સફળતા મળી છે. તેમાં વિવિધ સંગઠનોના અનેક કમાન્ડરના નામ પણ સામેલ છે. લશ્કર, જૈશ, હિજબુલ, ટીઆરએફ સહિત તમામ સંગઠનોને ભારે નુકસાન પહોંચ્યું છે.