મોદી પર ભરોસો નથી, વચન તો રૂ.15 લાખ જમા કરવાનું પણ આપ્યું હતું : ટિકૈતનો ટોણો

મોદી પર ભરોસો નથી, વચન તો રૂ.15 લાખ જમા કરવાનું પણ આપ્યું હતું : ટિકૈતનો ટોણો


માત્ર વચનો નહીં સંસદમાં કૃષિ કાયદા પરત ખેંચો તો માનીએ

ટેકાના ભાવની કાયદેસર માન્યતા સરકાર ન આપે ત્યાં સુધી આ આંદોલન પરત લેવામાં નહીં આવે : ટિકૈત

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને વચન આપ્યું છે કે તે ત્રણેય કૃષિ કાયદાઓને પરત લઇ લેશે. બીજી તરફ મોદીના આ વચનને 15 લાખ રૂપિયા દરેકના ખાતામાં આવશે તે વચન સાથે સરખાવીને ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે અમે અમારૂ આંદોલન પરત નહીં લઇએ.

ટિકૈતે માગણી કરી હતી કે તાત્કાલીક ધોરણે સંસદમાં આ કાયદા પરત લઇ બતાવો અને ટેકાના ભાવ મુદ્દે કાયદાકીય ખાતરી આપો પછી આંદોલન પરત લઇશું. રાકેશ ટિકૈતે કહ્યું હતું કે મોદી સરકારે કૃષિ કાયદા પરત લેવાની જે જાહેરાત કરી છે તેનાથી ખુશ થઇને ઉજવણી કરવાની જરૂર નથી.

જ્યાં સુધી સંસદમાં આ કાયદાઓને રદ ન કરાય અને ટેકાના ભાવ મુદ્દે કાયદાકીય ખાતરી ન આપવામાં આવે ત્યાં સુધી આ આંદોલનને ચાલુ રાખવામાં આવશે. શુક્રવારે મહારાષ્ટ્રના પાલઘરમાં એક કાર્યક્રમમાં જોડાયા બાદ ટિકૈતે મોદીની જાહેરાતના તુરંત બાદ ટ્વીટ કરીને કહ્યું હતું કે અમે આ આંદોલન હાલ પરત નહીં લઇએ.

અમે તે સમયની રાહ જોઇ રહ્યા છીએ જ્યારે સંસદમાં આ કાયદાને પરત લેવામાં આવશે. અમને મોદી પર વિશ્વાસ નથી, મોદીએ અગાઉ 15 લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું જે હજુ પુરૂ નથી કર્યું.   ટિકૈતે સાથે માગણી કરી હતી કે ટેકાના ભાવની કાયદેસરની ખાતરી નથી આપવામાં આવી. 

આ ખાતરી ન આપવામા આવે અને ટેકાના ભાવ માટે કાયદો ઘડવામાં ન આવે કે કાયદામાં તેની જોગવાઇ ન કરવામાં આવે ત્યાં સુધી પણ આ આંદોલન ચાલુ રાખવામાં આવશે અને દિલ્હી બોર્ડર પર ધરણા પર બેઠેલા ખેડૂતો ત્યાં સુધી પરત ઘરે નહીં જાય. ગુરૂ નાનક જયંતી નિમિત્તે મોદીએ દેશને સંબોધતા મોદીએ કહ્યું હતું કે કૃષિ કાયદાઓને પરત લઇ લેવામાં આવશે.

જ્યારે સંયુક્ત કિસાન મોરચા કે જે પહેલાથી જ આ આંદોલન ચલાવી રહ્યુ છે તેણે કહ્યું છે કે અમે નિર્ણયનું સ્વાગત કરીએ છીએ પણ સંસદમાં તેનો અમલ થાય તેવી અમારી માગ છે. અમારૂ આ આંદોલન માત્ર કૃષિ કાયદા રદ કરવા પુરતુ નથી અમે ટેકાના ભાવની માગણી સાથે આંદોલન ચાલુ રાખીશું.

Share: