1857માં આઝાદી માટેની લડાઈ બાદ 1947માં કઈ લડાઈ થઈ હતી? કોઈ જાણકારી આપે તો પદ્મ શ્રી પાછો આપી દઉં: કંગના

1857માં આઝાદી માટેની લડાઈ બાદ 1947માં કઈ લડાઈ થઈ હતી? કોઈ જાણકારી આપે તો પદ્મ શ્રી પાછો આપી દઉં: કંગના

નવી દિલ્હી,તા.13.નવેમ્બર,2021

આઝાદી ભીખમાં મળી હતી તેવા નિવેદન પર એક્ટ્રેસ કંગના પર માછલા ધોવાઈ રહ્યા છે ત્યારે કંગનાએ હવે પોતાના નિવેદનનો બચાવ કર્યો છે.

કંગનાએ સોશિયલ મીડિયા પર કહ્યુ છે કે, મેં જે ઈન્ટરવ્યૂ આપ્યો હતો તેમાં બધી વાતો સ્પષ્ટ રીતે મેં રજૂ કરી છે.મેં કહ્યુ હતુ કે, 1857માં આઝાદી માટે પહેલી સંગઠિત લડાઈ લડવામાં આવી હતી.સાથે સાથે મેં સુભાષચંદ્ર બોઝ, રાણી લક્ષ્મીબાઈ અને વીર સાવરકરના બલિદાન પર વાત કરી હતી.1857ની તો મને ખબર છે પણ 1947માં કઈ લડાઈ લડવામાં આવી હતી તેની મને જાણકારી નથી.જો કોઈ  મને આ બાબતે જાણકારી આપી શકે તો હું મારો પદ્મ શ્રી પાછો આપીને માફી માંગી લઈશ.

કંગનાએ કહ્યુ છે કે, મેં રાણી લક્ષ્મીબાઈના જીવન પર આધારિત ફિલ્મમાં કામ કર્યુ છે.1857ની આઝાદીની પહેલી લડાઈ પર ઘણુ રિસર્ચ થયુ છે, રાષ્ટ્રવાદની સાથે સાથે જમણેરી વિચારધારા ઉભરી આવી હતી  પણ આ બધુ અચાનક કેમ ખતમ થઈ ગયુ? ગાંધીએ કેમ ભગત સિંહને મરવા દીધા અને કેમ નેતાજીની હત્યા થઈ અને તેમને કેમ ગાંધીજીનો સપોર્ટ નહોતો મળ્યો? આખરે કેમ દેશના ભાગલા પડયા અને આઝાદીની ખુશી મનાવવાની જગ્યાએ કેમ લોકો એક બીજાને તે વખતે મારી રહ્યા હતા…? આ સવાલોના જવાબ મારે જાણવા છે, કોઈ મારી મદદ કરે.

કંગનાએ કહ્યુ હતુ કે, હું મારા નિવેદન બદલ જે પણ પરિણામ આવે તે સહન કરવા માટે તૈયાર છું.2014માં આપણને આઝાદી મળી તે અંગે મારુ કહેવુ હતુ કે, ભલે આપણને દેખાડવા માટે આઝાદી મળી હતી પણ 2014 પછી આપણી ચેતના અને વિવેક બુધ્ધિને આઝાદી મળી હતી. મૃતપાય થઈ ગયેલી સભ્યતામાં જીવ આવ્યો હતો અને હવે તે ગર્જના પણ કરી રહી છે. આજે લોકો ઈંગ્લિશ નહીં બોલનારા કે નાના શહેરમાંથી આવનારા લોકોની મજાક ઉડાવી શકતા નથી. આ ઈન્ટરવ્યૂમાં મે આ બધી વાતો સાફ કહી છે.

Share: