મારા પરિવારને લટકાવી દેવાની, સળગાવી દેવાની ધમકીઓ મળે છેઃ સમીર વાનખેડેની પત્ની

મારા પરિવારને લટકાવી દેવાની, સળગાવી દેવાની ધમકીઓ મળે છેઃ સમીર વાનખેડેની પત્ની

મુંબઈ,તા.26 ઓકટોબર 2021,મંગળવાર

એનસીબી ઓફિસર સમીર વાનખેડેના એક્ટ્રેસ પત્ની ક્રાંતિ વાનખેડે પોતાના પતિના બચાવમાં ઉતર્યા છે.

ક્રાંતિએ આજે કહ્યુ હતુ કે, સમીર વાનખેડે તમામ વિવાદોમાંથી બહાર આવશે. કારણકે હંમેશા સત્યની જીત થતી હોય છે. જે આરોપો તેમના પર લાગ્યા છે તે સાબિત થવાના નથી. બીજા રાજ્યોમાંથી જ્યારે કોઈ આવીને અમને ધમકાવે છે ત્યારે બહુ તકલીફ થાય છે. અમારા રાજ્યમાં અમે સુરક્ષિત હોવા જોઈએ. અમને લટકાવી દેવાની અને સળગાવી દેવાની ધમકીઓ મળી રહી છે.

ક્રાંતિએ કહ્યુ હતુ કે, મારા પરિવારને સુરક્ષા પૂરી પાડવામાં આવી છે તે બદલ હું આભારી છું. મારા પરિવારને ધમકીઓ મળી રહી છે અને હવે તો કોઈ અમારી સામે જુએ છે તો પણ એવુ થાય છે કે, આવુ કેમ થતુ હશે, ફેક એકાઉન્ટ બનાવીને અમને ટ્રોલ કરવામાં આવે છે.

તેમણે કહ્યુ હતુ કે, સમીરની કામ કરવાની જે શૈલી છે તેનાથી કેટલાક લોકોને પરેશાની થઈ રહી છે. આરોપ લગાવનારાઓ ઈચ્છી રહ્યા છે કે, તેમનુ કામ ચાલતુ રહે અને સમીરના કારણે તેમને હેરાન ના થવુ પડે. રાજકીય પાર્ટીઓના ષડયંત્ર અંગેના સવાલ પર તેમણે કહ્યુ હતુ કે, હું તો બહુ નાની વ્યક્તિ છું અને આ બાબતે કશું કહી શકુ તેમ નથી પણ સમીર એટલા કો ઓપરેટિવ છે કે જીત સચ્ચાઈની થશે.

ક્રાંતિએ આગળ કહ્યુ હતુ કે, સમીરે જેમના પર રેડ કરી છે તેમાંથી માંડ બે કે ત્રણ ટકા બોલીવૂડ કલાકાર છે. બાકીના ડ્રગ પેડલર છે. તેમના પર કોઈ રાજકીય આરોપ સાબિત થવાના નથી.

Share: