દેશમાં કોરોનાથી વધુ 666 લોકોનાં મૃત્યુ, નવા 16 હજાર કેસ નોંધાયા

દેશમાં કોરોનાથી વધુ 666 લોકોનાં મૃત્યુ, નવા 16 હજાર કેસ નોંધાયા


કેરળમાં ગણતરીમાં ફેરફાર થતા દૈનિક મૃત્યુઆંક ઉછળ્યો

કોરોના રસીના કુલ ડોઝનો આંકડો 102 કરોડને પાર, કુલ ટેસ્ટ 60 કરોડ નજીક

મોદીએ રસી ઉત્પાદક કંપનીઓના સીઇઓ સાથે બેઠક યોજી રસીકરણની ચર્ચા કરી 

નવી દિલ્હી : ભારતમાં કોરોના વાઇરસના નવા 16326 કેસો સામે આવ્યા હતા. જ્યારે એક્ટિવ કેસો ઘટીને 1.73 લાખે પહોંચ્યા હતા જે છેલ્લા 233 દિવસમાં સૌથી નીચા છે. બીજી તરફ ઘણા દિવસ પછી કોરોનાને કારણે વધુ 666 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અગાઉ આ મૃત્યુઆંક 200ની પણ નીચે પહોંચ્યો હતો. 

કોરોનાને કારણે જે વધુ 666 લોકોના મોત નિપજ્યા છે તેમાં માત્ર કેરળ રાજ્યના જ 99 લોકો છે. એક્ટિવ કેસોમાં છેલ્લા 24 કલાકમાં 2017નો ઘટાડો થયો હતો. હાલ એક્ટિવ કેસ 0.51 ટકા છે. કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 4.53 કરોડને પાર પહોંચી છે જ્યારે કુલ 3.35 કરોડ લોકો કોરોનાને હરાવીને સાજા થયા છે. 

જ્યારે એક જ દિવસમાં કોરોનાના 13,64,681 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કુલ ટેસ્ટનો આંકડો 60 કરોડની નજીક પહોંચી ગયો છે. બીજી તરફ અત્યાર સુધીમાં આપેલી કોરોનાની રસીના ડોઝની સંખ્યા વધીને 102 કરોડને પાર પહોંચી ગઇ છે. માત્ર એક જ દિવસમાં રસીના 70 લાખ ડોઝ આપવામાં આવ્યા હતા. દૈનિક મૃત્યુઆંકમાં અચાનક ઉછાળો આવવાનુ કારણ કેરળમાં ફરી ગણતરી હોવાનું માનવામાં આવે છે. કેરળના કુલ મૃત્યુઆંકમાં 292નો વધારો થયો છે. 

દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રસીનું ઉત્પાદન કરનારી કંપનીઓના માલિકો અને સીઇઓની સાથે બેઠક યોજી હતી. જે બાદ આ કંપનીઓના સીઇઓએ મોદીના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે તેમની નેતાગીરીએ રસીકરણ અભિયાનમાં મોટુ યોગદાન આપ્યું છે. જેેને પગલે જ નવ મહિનામાં કોરોના રસીના 100 કરોડ ડોઝનો ટાર્ગેટ પુરો કરી શકાયો છે.

વધુ દૈનિક મૃત્યુઆંક વાળા ટોપ પાંચ રાજ્ય

કેરળ

563

મહારાષ્ટ્ર

40

તમિલનાડુ

19

પ. બંગાળ

12

કર્ણાટક

11


વધુ દૈનિક કેસ વાળા ટોપ પાંચ રાજ્ય

કેરળ

9361

મહારાષ્ટ્ર

1632

તમિલનાડુ

1152

પ. બંગાળ

846

આંધ્ર પ્રદેશ

478

Share: