કોરોનાઃ 100 કરોડ વેક્સિન ડોઝનો આંકડો પાર, PMએ કહ્યું- આ ભારતીય વિજ્ઞાનની જીત

કોરોનાઃ 100 કરોડ વેક્સિન ડોઝનો આંકડો પાર, PMએ કહ્યું- આ ભારતીય વિજ્ઞાનની જીત


– આજે લાલ કિલ્લા ખાતે દેશનો સૌથી વિશાળ ખાદીનો તિરંગો પ્રદર્શિત કરવામાં આવશે જેનું વજન આશરે 1,400 કિગ્રા જેટલું છે

નવી દિલ્હી, તા. 21 ઓક્ટોબર, 2021, ગુરૂવાર

ભારતે આજે 100 કરોડ કોરોના વેક્સિન ડોઝનો જાદુઈ આંકડો સ્પર્શી લીધો છે. આ પ્રસંગા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી ખાતે એક ખાસ કાર્યક્રમમાં સામેલ થઈ રહ્યા છે. તે સિવાય આજના દિવસે અન્ય કેટલાય કાર્યક્રમોની પણ તૈયારી કરવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને આ અંગેની શુભેચ્છા પાઠવી હતી અને લખ્યું હતું કે, ભારતે ઈતિહાસ રચ્યો. આપણે ભારતીય વિજ્ઞાન, ઉદ્યમ અને 130 કરોડ ભારતીયોની સામૂહિક ભાવનાનો વિજય જોઈ રહ્યા છીએ. 100 કરોડ વેક્સિનેશન પાર કરવાને લઈ ભારતને શુભેચ્છાઓ. આપણા ડોક્ટર્સ, નર્સો અને આ ઉપલબ્ધિ હાંસલ કરવા માટે કામ કરનારા તમામ લોકોનો આભાર.

આ પ્રસંગે યોગી આદિત્યનાથે કહ્યું કે, દેશમાં અત્યાર સુધીમાં 100 કરોડ કોવિડ વેક્સિનનું સુરક્ષા કવચ પ્રદાન કરી દેવાયું છે. તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વ, પ્રતિબદ્ધ સ્વાસ્થ્ય કર્મચારીઓના પરિશ્રમ અને અનુશાસિત નાગરિકોની સહભાગિતાનું સુફળ છે. કોરોનાની હાર નિશ્ચિત છે. 

કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કોરોના વેક્સિનેશન રેકોર્ડ મુદ્દે કહ્યું કે, મહામારીના આ દોરમાં જે રીતે લોકોએ અનુશાસન જાળવ્યું, કોરોનાના તમામ દિશા-નિર્દેશોનું પાલન કર્યું તથા પોતાની ઈચ્છાશક્તિ, આત્મશક્તિ અને પોતાના વિશ્વાસને જાળવી રાખ્યો તેનું જ આ પરિણામ છે કે દેશે આજે 100 કરોડ કોવિડ-19 વેક્સિનેશનનો આંકડો પાર કરી લીધો છે. 

આજે લાલ કિલ્લા ખાતે દેશનો સૌથી વિશાળ ખાદીનો તિરંગો પ્રદર્શિત કરવામાં આવશે. તેનું વજન આશરે 1,400 કિગ્રા જેટલું છે. 225 ફૂટ લાંબો અને 150 ફૂટ પહોળો આ તિરંગો 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિના અવસર પર લેહ ખાતે દર્શાવવામાં આવ્યો હતો. આ તિરંગો ભારતમાં નિર્મિત અત્યાર સુધીનો સૌથી વિશાળ અને હાથ વણાટની સુતરાઉ ખાદીનો છે. આ ઉપરાંત સરકારની યોજના હવાઈ જહાજ, જહાજો, મહાનગરો અને રેલવે સ્ટેશનો પર વેક્સિનેશન ઈતિહાસ અંગેની સાર્વજનિક જાહેરાત કરાવવાનો છે.

Share: