'હત્યા વડે પ્રદર્શનકારીઓને ચૂપ નહીં કરી શકાય', વરૂણ ગાંધીએ શેર કર્યો લખીમપુર હિંસાનો નવો વીડિયો

'હત્યા વડે પ્રદર્શનકારીઓને ચૂપ નહીં કરી શકાય', વરૂણ ગાંધીએ શેર કર્યો લખીમપુર હિંસાનો નવો વીડિયો


– વરૂણ ગાંધીએ લખીમપુર મુદ્દે અગાઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ પત્ર લખ્યો હતો

નવી દિલ્હી, તા. 07 ઓક્ટોબર, 2021, ગુરૂવાર

ભાજપના સાંસદ વરૂણ ગાંધી ખેડૂતોના મુદ્દે સતત અવાજ ઉઠાવી રહ્યા છે. લખીમપુર મુદ્દે પહેલા પણ ટ્વિટ કરી ચુકેલા વરૂણ ગાંધીએ હવે વીડિયો ટ્વિટ કરીને ન્યાયની માગણી કરી છે. તે લખીમપુરની ઘટનાનો તાજો વીડિયો છે જે બુધવારે રાતે સામે આવ્યો હતો. તેમાં પૂરપાટ ઝડપે દોડી રહેલી થાર ગાડી ખેડૂતોને કચડતી સ્પષ્ટ દેખાઈ રહી છે. 

લખીમપુર હિંસાના નવા વીડિયોને શેર કરીને વરૂણ ગાંધીએ લખ્યું હતું કે, ‘આ વીડિયો બિલકુલ સ્પષ્ટ છે. પ્રદર્શનકારીઓનું મર્ડર કરીને તેમને ચૂપ ન કરી શકાય. નિર્દોષ ખેડૂતોનું લોહી વહ્યું છે તેની જવાબદેહી થવી જોઈએ. તમામ ખેડૂતોમાં અહંકાર અને ક્રૂરતાનો સંદેશો ફેલાય તે પહેલા ન્યાય થવો જોઈએ.’

પીલીભીતના ભાજપ સાંસદ વરૂણ ગાંધીએ જે વીડિયો શેર કર્યો છે તે બુધવારે સામે આવ્યો હતો. આ વીડિયો થાર ગાડીએ ખેડૂતોને કચડ્યા તે સમયનો છે. આ વીડિયો અગાઉના વીડિયોની સરખામણીએ વધારે સ્પષ્ટ અને લાંબો છે. 

વરૂણ ગાંધીએ લખીમપુર મુદ્દે અગાઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ પત્ર લખ્યો હતો. પત્રમાં સીબીઆઈ તપાસ અને પીડિત પરિવારોને 1-1 કરોડ રૂપિયાનું વળતર આપવા માગણી કરવામાં આવી હતી. વરૂણ ગાંધી પહેલા પણ પાર્ટી લાઈનથી અલગ જઈને ખેડૂતોના સમર્થનમાં અવાજ ઉઠાવી ચુક્યા છે. 

Share: