ભારતમાં સાઈબર એટેક કરીને રોજિંદી વ્યવસ્થા ખોરવવાનું દુશ્મન દેશોનું ષડયંત્ર

ભારતમાં સાઈબર એટેક કરીને રોજિંદી વ્યવસ્થા ખોરવવાનું દુશ્મન દેશોનું ષડયંત્ર

ભારત હેકર્સના નિશાના પર છે. સાઈબર આતંકવાદીઓ અને દુશ્મન દેશો સાઈબર એટેકથી દેશમાં અરાજકતા ફેલાવવા માગે છે. ભારતમાં એક જ વર્ષમાં સાઈબર એટેકમાં ત્રણ ગણો વધારો થયો છે. જાહેર ક્ષેત્રની સર્વિસ આપતા વિભાગોને દુશ્મન દેશોના સાઈબર આતંકીઓ સતત ટાર્ગેટ કરે છે.મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, લખનઉ, કોલકાત્તા જેવા શહેરોમાં વીજ પૂરવઠો અને ઈલેક્ટ્રિક પરિવહનન ખોરવી નાખવા માટે સતત સાઈબર એટેક થઈ રહ્યા છે. દેશમાં અફરાતફરી મચી જાય એ માટે વિશેષ સર્વિસ આપતા ૧૮ સેક્ટરને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. દેશની સાઈબર સુરક્ષા એજન્સી સીઆઈઆરટી-ઈનના કહેવા પ્રમાણે ૨૦૧૯માં ૩.૯૪ લાખ સાઈબર એટેક દેશના ૧૮ સેક્ટર પર થયા હતા. તેની સામે ૨૦૨૦માં ૧૧.૫૫ લાખ સાઈબર હુમલા થયા હતા. એટલે કે એક જ વર્ષમાં સાઈબર હુમલામાં ત્રણ ગણો વધારો થયો હતો.ધારો કે મુંબઈ-દિલ્હી જેવા શહેરમાં વીજળી પ્રોવાઈડ કરતી સિસ્ટમ ખોરવાઈ જાય તો શું થાય? શહેરમાં અંધારપટ્ટ છવાઈ જાય અને દહેશતનો માહોલ સર્જાય જાય. આખા શહેરમાં બધે જ ટ્રાફિકના સિગ્નલ ગ્રીન થઈ જાય તો શું થાય?  શહેરમાં અરાજકતા ફેલાઈ જાય અને અકસ્માતો વધી જાય. એવી જ રીતે ઈલેક્ટ્રિક સિસ્ટમથી ચાલતી પરિવહન સર્વિસ ઠપ થઈ જાય તો? બધા અધવચ્ચે ફસાઈ પડે. પાણીની સપ્લાય બંધ થઈ જાય તો નાગરિકો પરેશાન થઈ જાય. આવી અરાજકતા ફેલાય તો દેશમાં આંતરિક અસંતોષ વધે. એવી સ્થિતિ વારંવાર સર્જવા માટે દુશ્મન દેશના સાઈબર આતંકવાદીઓ સક્રિય થયા છે.દેશના ૧૮ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને નિશાન બનાવવાનું ષડયંત્ર રચાયું છે. જેમાં પેમેન્ટ સર્વિસ, બેંકિંગ, આઈટી પોર્ટલ, રેલવે પોર્ટલ, સંરક્ષણ, રસાયણ, પરમાણુ, ફૂડ અને એગ્રીકલ્ચર, હેલ્થ, પાણી, પરિવહન, વીજળીના વિભાગો ઉપર સતત સાઈબર એટેક થઈ રહ્યા છે. આ અટકાવવા માટે નિષ્ણાતોએ આર્મીની જેમ ખાસ સાઈબર-આર્મી વિકસાવવાની સલાહ આપી છે.ભવિષ્યમાં થનારા હુમલાને રોકવા માટે અને દેશની વિવિધ પબ્લિક સર્વિસને રક્ષણ આપવા માટે નિષ્ણાતોની સાઈબર આર્મી બનાવી હોય તો ખતરાને ખાળી શકાય.

Share: