સિદ્ધુએ રાખી આ 3 શરતો, માનવાના મૂડમાં નથી હાઈકમાન, ચન્નીએ પણ ટાળ્યો સવાલ

સિદ્ધુએ રાખી આ 3 શરતો, માનવાના મૂડમાં નથી હાઈકમાન, ચન્નીએ પણ ટાળ્યો સવાલ


– મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીના કહેવા પ્રમાણે સિદ્ધુ સાથે વાત કરવામાં આવશે પરંતુ તેઓ આરોપોથી બચતા દેખાયા

નવી દિલ્હી, તા. 29 સપ્ટેમ્બર, 2021, બુધવાર

પંજાબમાં કોંગ્રેસ માટે વિધાનસભા ચૂંટણી પહેલા શરૂ થયેલી મુશ્કેલીઓનો કોઈ અંત જ નથી આવી રહ્યો. નવજોત સિંહ સિદ્ધુ પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપીને નવા મુખ્યમંત્રીના નિર્ણય સામે સવાલ કરી રહ્યા છે. આ તરફ કોંગ્રેસ હાઈકમાન પણ હવે ચરણજીત સિંહ ચન્ની સાથે ઉભેલું દેખાઈ રહ્યું છે. મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીના કહેવા પ્રમાણે સિદ્ધુ સાથે વાત કરવામાં આવશે પરંતુ તેઓ આરોપોથી બચતા દેખાયા હતા. 

સિદ્ધુની શરતો

નવજોત સિંહ સિદ્ધુએ પોતાનું રાજીનામુ આપતી વખતે કહ્યું હતું કે, તેઓ કોઈ પણ જાતની સમજૂતી નથી કરી શકતા. બુધવારે એક વીડિયો સંદેશામાં પણ તેમણે એ વાત પર જોર આપ્યું હતું કે, નવી સરકારમાં કલંકિતોને જગ્યા આપવામાં આવી છે. પછી ભલે તે મંત્રી હોય કે એડવોકેટ જનરલ હોય. 

જાણવા મળ્યા મુજબ સિદ્ધુએ સ્પષ્ટ કહી દીધું છે કે, તેઓ રાજીનામુ ત્યારે જ પાછું લેશે જ્યારે તેમની વાત માનવામાં આવશે. તેમાં રાણા ગુરજીત સિંહને કેબિનેટમાંથી હટાવવો, ડીજીપી પ્રીત સિંહ સહોતાને હટાવવાની માગણી કરી છે. IPS સહોતાએ જ બાદલ સરકાર દરમિયાન થયેલા ફાયરિંગ કેસમાં તપાસ કમિટીની આગેવાની કરી હતી. તે સિવાય એડવોકેટ જનરલ એપીએસ દેઓલને હટાવવાની શરતનો પણ સમાવેશ થાય છે. નવજોત સિંહે સ્પષ્ટ કહી દીધું છે કે, તેઓ પોતાના એજન્ડામાંથી પાછા નહીં હટે. 

Share: