'કોઈએ તાળી પણ ન વગાડી', PM મોદીના UNGA સંબોધન મુદ્દે ચિદંબરમનો કટાક્ષ, સિબ્બલે પણ કરી કોમેન્ટ

'કોઈએ તાળી પણ ન વગાડી', PM મોદીના UNGA સંબોધન મુદ્દે ચિદંબરમનો કટાક્ષ, સિબ્બલે પણ કરી કોમેન્ટ


– વડાપ્રધાન મોદીએ ભારતને મધર ઓફ ઓલ ડેમોક્રસી ગણાવેલું, મને આશા છે કે યોગીજી અને હિમંત બિસ્વા શર્મા સાંભળી રહ્યા હશેઃ સિબ્બલ

નવી દિલ્હી, તા. 26 સપ્ટેમ્બર, 2021, રવિવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પોતાના અમેરિકી પ્રવાસના અંતિમ દિવસે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ને સંબોધિત કરી હતી. વડાપ્રધાનના આ સંબોધનને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ દેશને ગૌરવાન્વિત કરનારૂં ગણાવ્યું હતું ત્યારે કોંગ્રેસી નેતા પી. ચિદંબરમે તેને લઈ કટાક્ષ કર્યો છે. કોંગ્રેસી નેતા કપિલ સિબ્બલે પણ પીએમ મોદીના નિવેદનના બહાને યુપી અને આસામના મુખ્યમંત્રીને ઘેર્યા છે. 

કોંગ્રેસી નેતા અને રાજ્યસભા સાંસદ પી. ચિદંબરમે જણાવ્યું કે, વડાપ્રધાન મોદીના સંબોધન દરમિયાન કેટલીક સીટો જ ભરાયેલી હતી. વડાપ્રધાન મોદીના સંબોધન બાદ કોઈએ તાળી પણ નહોતી વગાડી. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, ‘જ્યારે વડાપ્રધાન મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી ત્યારે મને ખૂબ જ નિરાશા થઈ કે, થોડીક બેઠકો જ ભરેલી હતી. તેનાથી પણ વધારે નિરાશા ત્યારે થઈ જ્યારે કોઈએ તાળી પણ ન વગાડી. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનું સ્થાયી મિશન ગરબડાઈ ગયું છે.’ 

સિબ્બલની ટ્વીટ

કોંગ્રેસી નેતા કપિલ સિબ્બલે ટ્વીટમાં લખ્યું હતું કે, UNGAમાં સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ ભારતને મધર ઓફ ઓલ ડેમોક્રસી ગણાવેલું, મને આશા છે કે યોગીજી (યુપીના સીએમ યોગી આદિત્યનાથ) અને હિમંત બિસ્વા શર્મા (આસામના મુખ્યમંત્રી) સાંભળી રહ્યા હશે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાન અને ત્યાંના વડાપ્રધાન ઈમરાન ખાનનું નામ લીધા વગર જ ખૂબ સંભળાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જે પણ આતંકવાદનો ઉપયોગ કરી રહ્યા છે તેમણે પણ સમજવું જોઈએ કે તે તેમના માટે પણ ખૂબ મોટું જોખમ છે. અફઘાનિસ્તાનની સ્થિતિનો ઉલ્લેખ કરીને કહ્યું કે, આપણે તે માટે પણ સતર્ક રહેવાની જરૂર છે કે કોઈ પણ દેશ ત્યાંની નાજુક સ્થિતિઓનો પોતાના સ્વાર્થ માટે એક ટૂલ તરીકે ઉપયોગ કરવા પ્રયત્ન ન કરે. 

Share: