×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ખેડૂત આંદોલનઃ રાકેશ ટિકૈતે કહ્યું- જન્મ દિવસ પર PM મોદી પાસેથી ભેટ કે ભીખ નહીં હક્ક જોઈએ


- જો શિયાળા સુધીમાં સમાધાન ન આવ્યું તો ખેડૂતો પછી તેમની વ્યવસ્થા કરી લેશે પરંતુ પાછા નહીં જાયઃ ટિકૈત

નવી દિલ્હી, તા. 17 સપ્ટેમ્બર, 2021,શુક્રવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની સાથે જ આજે શુક્રવારે 3 નવા કૃષિ કાયદાને એક વર્ષ પણ પૂર્ણ થયું છે. આ પ્રસંગે ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું હતું કે, આંદોલનને ભલે 10 વર્ષ થઈ જાય, કૃષિ કાયદાઓ પાછા નહીં લેવાય ત્યાં સુધી તે લોકો ત્યાંથી નહીં ખસે. 

વધુમાં રાકેશ ટિકૈતે જણાવ્યું કે, જન્મ દિવસ પર તેમને પીએમ મોદી પાસેથી કોઈ ભેટ કે ભીખ નથી જોઈતી પરંતુ બસ પોતાનો હક્ક જોઈએ છીએ. રાકેશ ટિકૈતના કહેવા પ્રમાણે 'સરકાર કહી રહી છે કે, સરકાર કહી રહી છે કે, તેઓ 18 મહિના સુધી કાયદો લાગુ નહીં કરે તો અમે હજુ 6 મહિના રાહ જોઈ લઈએ છીએ. ક્યાં અમે પાછા ઘરે જઈએ અને પાછા અહીં આવીએ.' ટિકૈતે એવો દાવો કર્યો હતો કે, ગામોમાં મંડીઓ વેચાવા લાગી છે અને એમએસપીની ગેરંટી નથી અને ખૂબ સસ્તું અનાજ વેચાઈ રહ્યું છે. 

ટિકૈતે કહ્યું હતું કે, 'અમને વડાપ્રધાન પાસેથી કોઈ ભેટ થોડી જોઈએ છીએ, અમે કોઈ ભીખ નથી માગી રહ્યા. જે અમારો હક્ક છે તે આપી દો. અમે જન્મ દિવસ પર દાન પુણ્ય કરવાની આશા નથી રાખી રહ્યા, બસ અમને અમારો હક્ક આપી દો.' વડાપ્રધાને જન્મ દિવસ પર કમસેકમ એ ખેડૂતોને તો યાદ કરી જ લેવા જોઈએ જે ખેડૂત આંદોલન દરમિયાન 'શહીદ' થયા છે. 

ખેડૂત નેતાએ એવો સવાલ પણ કર્યો હતો કે, જો કૃષિ કાયદાઓ માટે વડાપ્રધાનને જવાબદાર ન ઠેરવીએ તો શું સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને ઠેરવીશું? જેની સરકાર હશે તેને જ જવાબદાર ઠેરવવામાં આવશે. 

ફન્ડિંગના આરોપો અંગે સ્પષ્ટતા

BKU નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, આંદોલન કરી રહેલા ખેડૂતો પર આરોપ લગાવાય છે કે, તેમને ફન્ડિંગ મળી રહ્યું છે. પરંતુ ત્યાં ટેન્ટ પણ ફાટેલા છે. જો કોઈ ભલું માણસ જોશે તો અમારા ટેન્ટ બદલાવી આપશે. જો શિયાળા સુધીમાં સમાધાન ન આવ્યું તો ખેડૂતો પછી તેમની વ્યવસ્થા કરી લેશે પરંતુ પાછા નહીં જાય.