દિલ્હી: LJP સાંસદ પ્રિન્સ રાજ પાસવાન વિરુદ્ધ બળાત્કાર કેસમાં FIR નોંધાઈ

દિલ્હી: LJP સાંસદ પ્રિન્સ રાજ પાસવાન વિરુદ્ધ બળાત્કાર કેસમાં FIR નોંધાઈ

નવી દિલ્હી, તા. 14 સપ્ટેમ્બર 2021 મંગળવાર

બિહારના સમસ્તીપુરથી લોક જનશક્તિ પાર્ટીના સાંસદ પ્રિન્સ રાજ પાસવાન વિરૂદ્ધ દિલ્હીમાં FIR નોંધવામાં આવી છે. પ્રિન્સ વિરૂદ્ધ બળાત્કાર સાથે જોડાયેલા એક કેસમાં FIR કરવામાં આવી છે.

લગભગ ત્રણ મહિના પહેલા એક પીડિતાએ દિલ્હીના કનૉટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, હવે કોર્ટનો આદેશ આવવા બાદ સાંસદ પ્રિન્સ રાજ વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ એફઆઈઆર 9 સપ્ટેમ્બરે નોંધવામાં આવી છે.

પ્રિન્સ રાજ પાસવાન લોક જનશક્તિ પાર્ટીના નેતા ચિરાગ પાસવાનના પિતરાઈ ભાઈ છે જ્યારે કેન્દ્રીય મંત્રી પશુપતિ પારસ પાસવાનના ભત્રીજા છે.

આરોપોને નકારી ચૂક્યા છે પ્રિન્સ રાજ

પીડિતા દ્વારા કેટલાક સમય પહેલા દિલ્હીના કનૉટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી. પીડિતા અનુસાર તેઓ લોજપાની કાર્યકર્તા હતી. પીડિતા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે બેહોશીની હાલતમાં તેમની સાથે શોષણ કરવામાં આવ્યુ હતુ. 

પ્રિન્સ રાજ પાસવાન દ્વારા પણ આ મુદ્દે એફઆઈઆર નોંધવામાં આવી ચૂકી છે, જ્યાં તેમણે પીડિતા પર ખોટા આરોપ લગાવવાની વાત કહી હતી. પ્રિન્સ રાજ પાસવાન વારંવાર આ આરોપોનુ ખંડન કરતા રહે છે.

ચિરાગ પાસવાન અને પશુપતિ પારસ પાસવાનની વચ્ચે જ્યારે પાર્ટીને લઈને ખેંચતાણ ચાલી રહી હતી ત્યારે ચિરાગ પાસવાને પોતાની પ્રેસ કૉન્ફરન્સમાં આ મુદ્દે ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો.

Share: