ઓવૈસીના અયોધ્યા પ્રવાસ પહેલા પાર્ટી કાર્યકરોએ બદલ્યા પોસ્ટરો, જાણો શું છે વિવાદ

ઓવૈસીના અયોધ્યા પ્રવાસ પહેલા પાર્ટી કાર્યકરોએ બદલ્યા પોસ્ટરો, જાણો શું છે વિવાદ

ઉત્તરપ્રદેશ,તા.7 સપ્ટેમ્બર 2021,મંગળવાર

AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીના યુપી પ્રવાસ પહેલા છેડાયેલા વિવાદના પગલે આખરે પાર્ટીના કાર્યકરોએ અયોધ્યામાં લગાવાયેલા પોસ્ટરો બદલ્યા છે.

ઓવૈસીના અયોધ્યા પ્રવાસ પહેલા જે પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા તેમાં અયોધ્યાને ફૈઝાબાદ નામ આપવામાં આવ્યુ હતુ. જેનો અયોધ્યાના સાધુ સમાજે વિરોધ કર્યો હતો. વધતા વિવાદ બાદ પોલીસના આદેશા પગલે હવે અયોધ્યાના કેટલાક વિસ્તારોમાં ફૈઝાબાદની જગ્યાએ અયોધ્યા લખેલા બેનરો અને હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે. કેટલાક હોર્ડિંગ પર ફૈઝાબાદ શબ્દ ઉપર અયોધ્યા લખેલા સ્ટિકર મારી દેવામાં આવ્યા છે. ઓવૈસી મંગળવારે રૂદૌલી વિસ્તારમાંથી ચૂંટણી પ્રચાર શરૂ કરશે અને આ વિસ્તાર અયોધ્યામાં આવેલો છે.

દરમિયાન અયોધ્યાના મુસ્લિમ સમુદાયના કેટલાક લોકોએ ઓવૈસીને એલર્ટ કર્યા છે કે, એવુ કોઈ ભાષણ ના કરતા જેનાથી અયોધ્યાના માહોલમાં કોઈ તનાવ સર્જાય અને સામાજીક સદભાવને અસર પહોંચે.

દરમિયાન શિયા વકફ બોર્ડના પૂર્વ સભ્ય અશફાક હુસેનના કહેવા પ્રમાણે આ ભગવાન શ્રીરામનુ પવિત્ર સ્થળ છે અને અહીંના જનતા તાલિબાની માનસિકતા રાખતા લોકોને સહન નહીં કરે. ઓવૈસી અયોધ્યા આવે છે તે સારી વાત છે, કદાચ તેનાથી તેમની માનસિકતા બદલાશે.

બીજી તરફ બાબરી મસ્જિદ કેસમાં પક્ષકાર રહેલા ઈકબાલ અન્સારીનુ કહેવુ છે કે, અયોધ્યા પર રાજકારણ બંધ કરવામાં આવે. અહીંયા કોઈ પણ જાતનુ કટ્ટરવાદી નિવેદન હિન્દુઓ અને મુસ્લિમો ચલાવી નહીં લે.

ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં ઓવૈસી ચૂંટણી કાર્યાલયનુ પણ ઉદઘાટન કરવાના છે અને રસૂલાબાદમાં કાર્યકરોને સંબોધિત કરવાના છે.

Share: