જમ્મુ કાશ્મીરઃ પાકિસ્તાની ઝંડામાં લપેટવામાં આવ્યો ગિલાનીનો મૃતદેહ, પોલીસે કેસ નોંધીને હાથ ધરી તપાસ

જમ્મુ કાશ્મીરઃ પાકિસ્તાની ઝંડામાં લપેટવામાં આવ્યો ગિલાનીનો મૃતદેહ, પોલીસે કેસ નોંધીને હાથ ધરી તપાસ


– પાકિસ્તાનથી સંચાલિત કાશ્મીર મીડિયા સર્વિસ સહિત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી બોગસ સમાચારો અને વીડિયો પ્રસારિત કરીને માહોલને ખરાબ કરવા પ્રયત્નો

નવી દિલ્હી, તા. 05 સપ્ટેમ્બર, 2021, રવિવાર

કટ્ટરપંથી અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીના મૃત્યુ બાદ તેમના મૃતદેહને પાકિસ્તાની ઝંડામાં લપેટવા અને રાષ્ટ્રવિરોધી નારા લગાવવાના આરોપસર બડગામ પોલીસે અજ્ઞાત લોકો વિરૂદ્ધ ગેરકાયદેસર ગતિવિધિ (રોકથામ) અધિનિયમ અંતર્ગત કેસ નોંધ્યો છે. આ બધા વચ્ચે બડગામ જિલ્લાના નરકારા ખાતે પથ્થરમારાની છૂટી-છવાઈ ઘટના છોડીને સમગ્ર ઘાટીમાં શાંતિ રહી હતી. આશરે એક ડઝન કરતા વધારે અનિચ્છનીય તત્વોની ધરપકડ કરવામાં આવી છે. 

પોલીસે એ વાયરલ વીડિયોનું સંજ્ઞાન લીધું છે જેમાં ગિલાનીના મૃતદેહને પાકિસ્તાની ઝંડામાં લપેટેલો દેખાડ્યો હતો. વીડિયોમાં બતાવ્યું હતું કે, જેવી પોલીસ મૃતદેહને કબજામાં લેવા આગળ વધી, દિવંગત અલગાવવાદી નેતાના સહયોગિઓએ ઝંડો હટાવી દીધો. 91 વર્ષીય ગિલાનીનું લાંબી બીમારી બાદ બુધવારે રાતે તેમના નિવાસ સ્થાને અવસાન થયું હતું. મૃતદેહને નજીકની એક મસ્જિદના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો હતો. 

પોલીસે જણાવ્યું કે, પાકિસ્તાનથી સંચાલિત કાશ્મીર મીડિયા સર્વિસ સહિત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી બોગસ સમાચારો અને વીડિયો પ્રસારિત કરીને માહોલને ખરાબ કરવા પ્રયત્નો થઈ રહ્યા છે. કેટલાક સ્થાનિક મીડિયાકર્મી અને ચેનલ પણ તેમાં સામેલ જણાયા છે.

Share: