ભારે વરસાદના કારણે દેહરાદૂન-ઋષિકેશ વચ્ચેના પુલમાં ભંગાણ, અનેક ગાડીઓ વહી ગઈ, રેસ્ક્યુનું કામ ચાલુ

ભારે વરસાદના કારણે દેહરાદૂન-ઋષિકેશ વચ્ચેના પુલમાં ભંગાણ, અનેક ગાડીઓ વહી ગઈ, રેસ્ક્યુનું કામ ચાલુ


– હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. ઉત્તરાખંડમાં 5 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી છે.

નવી દિલ્હી, તા. 27 ઓગષ્ટ, 2021, શુક્રવાર

છેલ્લા 48 કલાકથી વરસી રહેલા વરસાદના કારણે દેહરાદૂનમાં ભારે તબાહી વ્યાપી છે. ભારે વરસાદના કારણે રાની પોખરી પાસે દેહરાદૂન-ઋષિકેશ બ્રિજ તૂટી ગયો હતો. આ કારણે અનેક વાહનો ક્ષતિગ્રસ્ત થયા હતા. સતત વરસાદના કારણે માલદેવતા-સહસ્ત્રધારા લિંક રોડ અનેક મીટર સુધી નદીમાં સમાઈ ગયો હતો. આ ઘટના ખેરી ગામની છે. ત્યાં ભારે વરસાદના કારણે રસ્તામાં ધોવાણ થયું હતું અને આખો રસ્તો પાણીમાં વહી ગયો હતો. તે વિસ્તારમાં 2 ગાડીઓ પણ પાણીમાં વહી ગઈ હોવાની સૂચના મળી હતી જેથી રેસ્ક્યુનું કામ હાથ ધરવામાં આવ્યું છે. 

હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. ઉત્તરાખંડમાં 5 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી છે. તેમાં નૈનીતાલ, ચંપાવત, ઉધમસિંહ નગર, બાગેશ્વર અને પિથૌરાગઢનો સમાવેશ થાય છે. તે સિવાય દેહરાદૂન, ટિહરી, પૌડી જિલ્લાના અમુક વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના ધ્યાને રાખીને યેલો એલર્ટ આપવામાં આવેલું છે. 

હવામાન વિભાગે પહેલેથી જ ઉત્તરાખંડમાં ભારે વરસાદનું એલર્ટ આપેલું હતું. વિભાગે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપ્યું હતું. બુધવારે પણ ઉત્તરાખંડમાં શહેરની બહારની સરહદે આવેલા ખાબડાલા ગામમાં સાતલા દેવીના મંદિર પાસે વાદળ ફાટવાથી નદી-નાળાઓમાં પૂર આવ્યા હતા. 

Share: