મમતા પાસે ખુરશી બચાવવા માત્ર 71 દિવસ, ચુંટણી પંચ પહોચ્યાં TMC નેતાઓ

મમતા પાસે ખુરશી બચાવવા માત્ર 71 દિવસ, ચુંટણી પંચ પહોચ્યાં TMC નેતાઓ

નવી દિલ્હી, 26 ઓગસ્ટ 2021 ગુરૂવાર

પશ્ચિમ બંગાળમાં જોરદાર બહુમતી સાથે સત્તા પર આવેલા મમતા બેનર્જી માટે ખુરશીની ચિંતા અકબંધ છે. જો તે આગામી 71 દિવસમાં ધારાસભ્ય નહીં બને તો તેણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડશે. આ જ કારણ છે કે તૃણમૂલ કોંગ્રેસે ફરી એકવાર ગુરૂવારે ચૂંટણી પંચ પાસે જઈને અપીલ કરી કે રાજ્યમાં વહેલી તકે પેટા ચૂંટણી યોજવી જોઈએ. મમતા બેનર્જીએ મુખ્યમંત્રી રહેવા માટે 5 નવેમ્બર સુધીમાં વિધાનસભાના સભ્ય બનવું પડશે.

TMC નેતા સૌગત રોયની આગેવાની હેઠળ TMCનું પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચની કચેરીએ ગયું અને રાજ્યમાં વહેલી તકે પેટા ચૂંટણી યોજવાની માંગ કરી. TMC એ આ પહેલા બે વાર અરજી કરી છે, અને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ રાજ્યમાં પેટાચૂંટણી વિલંબ વગર યોજવાની ઘણી વખત માંગ કરી છે. સૌગત રોયે કહ્યું, “અમે ચૂંટણી પંચને મેમોરેન્ડમ આપ્યું છે કે પશ્ચિમ બંગાળમાં 7 બેઠકો પર પેટાચૂંટણી વહેલી તકે યોજવી જોઈએ.”

હકીકતમાં, મમતા બેનર્જીની પાર્ટીએ સતત ત્રીજી વખત બંગાળમાં સંપુર્ણ બહુમતી મેળવી છે, પરંતુ પોતે નંદીગ્રામ બેઠક પરથી ભાજપના નેતા અને તેમના ભૂતપૂર્વ સાથી શુભેન્દુ અધિકારી સામે હારી ગયા. નિયમ મુજબ, જે વ્યક્તિ વિધાનસભા અથવા વિધાન પરિષદના સભ્ય નથી (જે રાજ્યોમાં છે) મુખ્યમંત્રી અથવા મંત્રી બનાવી શકાય છે, પરંતુ છ મહિનાની અંદર ચૂંટાયેલા હોવા જોઈએ.

આ બેઠકો પર પેટાચૂંટણી યોજાશે

પશ્ચિમ બંગાળમાં ભવાનીપુર, દિનહાટા, સુતી, સાંતિપુર, સમસેરગંજ, ખારદાહ અને જાંગીપુર વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. આ બેઠકો મૃત્યુ અથવા રાજીનામાનાં કારણે ખાલી પડી છે.

Share: