મસિયાઈ ભાઈઃ તાલિબાને પાકિસ્તાનને ગણાવ્યું પોતાનું બીજું ઘર, કહ્યું- હવે અફઘાનિસ્તાનમાં શાંતિ

મસિયાઈ ભાઈઃ તાલિબાને પાકિસ્તાનને ગણાવ્યું પોતાનું બીજું ઘર, કહ્યું- હવે અફઘાનિસ્તાનમાં શાંતિ


– તાલિબાની પ્રવક્તા મુજાહિદે જણાવ્યું કે, તેઓ તમામ દેશો સાથે સારા સંબંધો ઈચ્છે છે

નવી દિલ્હી, તા. 26 ઓગષ્ટ, 2021, ગુરૂવાર

પાકિસ્તાન ભલે પોતાના ત્યાંથી આતંકવાદને પ્રોત્સાહન આપવામાં આવતું હોવાની વાતને નકારતું હોય પરંતુ આતંકવાદીઓને આશરો આપવાની તેની પોલ હવે જગજાહેર થઈ ગઈ છે. સમગ્ર વિશ્વ જાણે છે કે, પાકિસ્તાનની જમીન આતંકવાદીઓ માટે સુરક્ષિત છે. તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે જણાવ્યું કે, તાલિબાન પાકિસ્તાનને પોતાનું બીજું ઘર માને છે અને અફઘાનિસ્તાનની ધરતી પર એવી કોઈ ગતિવિધિની મંજૂરી નહીં અપાય જે પાકિસ્તાનના હિતોની વિરૂદ્ધ હોય. અગાઉ તાલિબાની પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે ભારતને મહત્વનો દેશ ગણાવીને સારા સંબંધો બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જબીહુલ્લાહ મુજાહિદના કહેવા પ્રમાણે તેમણે શાંતિ અને સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરીને તમામ ક્ષેત્રો પર નિયંત્રણ મેળવી લીધું છે. 

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ કાબુલ સહિત અન્ય શહેરોની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. એક ટીવી ચેનલને આપવામાં આવેલા ઈન્ટરવ્યુમાં તેમણે કાબુલમાં સરકારની રચનાથી લઈને મહિલાઓની સુરક્ષા અને અધિકારઓ અંગે ખુલીને વાતચીત કરી હતી. તાલિબાની પ્રવક્તા મુજાહિદે જણાવ્યું કે, તેઓ તમામ દેશો સાથે સારા સંબંધો ઈચ્છે છે. તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. અમારી ઈચ્છા છે કે, ભારત અફઘાની જનતાના મંતવ્યો પ્રમાણે પોતાની નીતિ તૈયાર કરે. અમે અમારી જમીનનો કોઈ દેશ વિરૂદ્ધ ઉપયોગ નહીં કરવા દઈએ. ભારત અને પાકિસ્તાને પોતાના દ્વિપક્ષીય મુદ્દા ઉકેલવા જોઈએ. 

સાથે જ મુજાહિદે એમ પણ કહ્યું હતું કે, એ વાતનો કોઈ પુરાવો નથી કે, ઓસામા બિન લાદેન 9/11ના હુમલામાં સામેલ હતો.  20 વર્ષના યુદ્ધ બાદ પણ હજુ કોઈ પુરાવો નથી મળ્યો. તાલિબાનના કમબેક બાદ આતંકવાદી સંગઠન અલકાયદા ફરી ઉભરે તેનું જોખમ જણાઈ રહ્યું છે. એક અહેવાલ પ્રમાણે અલકાયદા (એક્યુઆઈએસ)એ નિવેદન દ્વારા તાલિબાનને શુભેચ્છા આપી છે. અલકાયદાએ પોતાના નિવેદનમાં અમેરિકાને આક્રમણકારી અને અફઘાન સરકારને તેની સહયોગી ગણાવી છે. 

Share: