'હવે કોઈ અફઘાનીને દેશ નહીં છોડવા દઈએ, અમે આનાથી ખુશ નથી'- તાલિબાનની ચેતવણી

'હવે કોઈ અફઘાનીને દેશ નહીં છોડવા દઈએ, અમે આનાથી ખુશ નથી'- તાલિબાનની ચેતવણી


– તાલિબાની પ્રવક્તાના કહેવા પ્રમાણે આટલા દિવસોમાં જેટલા પણ અફઘાની નાગરિકોએ દેશ છોડ્યો છે તેમણે પોતાના દેશ પરત આવી જવું જોઈએ

નવી દિલ્હી, તા. 25 ઓગષ્ટ, 2021, બુધવાર

અફઘાનિસ્તાન પર 20 વર્ષ બાદ ફરી તાલિબાનનો કબજો જામ્યો છે. 15 ઓગષ્ટના રોજ તાલિબાને કાબુલ પર કબજો જમાવ્યો હતો અને ત્યાર બાદ રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા હતા. સામાન્ય લોકો પણ કોઈ પણ કિંમતે અફઘાનિસ્તાન છોડીને ભાગવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. અત્યાર સુધીમાં હજારો લોકોએ અફઘાનિસ્તાન છોડી પણ દીધું છે. જોકે હવે તાલિબાન દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે, હવેથી તે કોઈ અફઘાનીને દેશ છોડવાની મંજૂરી નહીં આપે. 

તાલિબાનના પ્રવક્તા જબીઉલ્લાહ મુજાહિદે મંગળવારે મીડિયાને જણાવ્યું કે, હવે કોઈ અફઘાનીને દેશ છોડવાની મંજૂરી નહીં મળે. જોકે વિદેશી નાગરિકો પોતાના દેશ પાછા ફરી શકે છે. મુજાહિદના કહેવા પ્રમાણે એરપોર્ટ જતા રસ્તાઓેને બ્લોક કરી દેવામાં આવ્યા છે. અફઘાનીઓ તે રસ્તેથી એરપોર્ટ નહીં જઈ શકે પરંતુ વિદેશી નાગરિકોને એરપોર્ટ જવાની મંજૂરી અપાશે. 

જબીઉલ્લાહના કહેવા પ્રમાણે આટલા દિવસોમાં જેટલા પણ અફઘાની નાગરિકોએ દેશ છોડ્યો છે તેમણે પોતાના દેશ પરત આવી જવું જોઈએ. તાલિબાને જણાવ્યું કે, ‘હવે અમે અફઘાનોને દેશ નહીં છોડવા દઈએ અને અમે આનાથી ખુશ નથી. અફઘાનિસ્તાનના ડૉક્ટર્સ અને શિક્ષાવિદોએ દેશ ન છોડવો જોઈએ અને તેમણે પોતાના દેશમાં જ કામ કરવું જોઈએ.’

તાલિબાને સત્તા સંભાળી ત્યારથી અત્યાર સુધીમાં હજારો લોકોએ અફઘાનિસ્તાન છોડી દીધું છે. તેમાં મોટા ભાગની મહિલાઓ છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનના કહેવા પ્રમાણે 14 ઓગષ્ટથી અત્યાર સુધીમાં 70 હજાર કરતા વધારે લોકોને કાબુલમાંથી કાઢવામાં આવ્યા છે. તેમાં અમેરિકી નાગરિક, નાટોના કર્મચારીઓ અને જોખમમાં મુકાયેલા અફઘાન નાગરિકોનો સમાવેશ થાય છે. 

Share: