કલ્યાણ સિંહના પાર્થિવ શરીર પર તિરંગાની ઉપર BJPનો ઝંડો, કોંગ્રેસ-TMCએ નોંધાવ્યો વિરોધ

કલ્યાણ સિંહના પાર્થિવ શરીર પર તિરંગાની ઉપર BJPનો ઝંડો, કોંગ્રેસ-TMCએ નોંધાવ્યો વિરોધ


– યુથ કોંગ્રેસના અધ્યક્ષ બીવી શ્રીનિવાસે તસવીર શેર કરીને સવાલ કર્યો હતો કે, શું ભારતના ઝંડાની ઉપર કોઈ પાર્ટીનો ઝંડો રાખવો યોગ્ય છે?

નવી દિલ્હી, તા. 23 ઓગષ્ટ, 2021, સોમવાર

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા રહી ચુકેલા કલ્યાણ સિંહના અંતિમ દર્શન દરમિયાન તેમના પાર્થિવ શરીર પર ભાજપનો ઝંડો રાખવાને લઈ રાજકીય વાક્યુદ્ધ છેડાયું છે. ટીએમસી, કોંગ્રેસ સહિત વિપક્ષી દળોના નેતાઓએ ભાજપને ટાર્ગેટ કરીને સવાલ કર્યા છે. ટીએમસી સાંસદે સવાલ કર્યો હતો કે, તિરંગાનું અપમાન કરવું એ માતૃભૂમિના સન્માનની નવી પદ્ધતિ છે?

હકીકતે પૂર્વ સીએમ કલ્યાણ સિંહનું શનિવારે રાતે અવસાન થયું ત્યાર બાદ તેમના પાર્થિવ શરીરને લખનૌ સ્થિત તેમના આવાસ પર અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમના પાર્થિવ શરીરને તિરંગા વડે લપેટવામાં આવ્યું હતું, પરંતુ બાદમાં તેમના પગ બાજુ ભાજપનો ઝંડો પણ મુકવામાં આવ્યો. ત્યારથી વિપક્ષી દળોએ ભાજપ પર નિશાન તાકવાનું શરૂ કરી દીધું. 

તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ સુખેંદુ શેખર રૉયે કલ્યાણ સિંહના અંતિમ દર્શનની તસવીર ટ્વીટ કરીને લખ્યું હતું કે, ‘રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કરવું એ શું માતૃભૂમિુનં સન્માન કરવાની નવી પદ્ધતિ છે? રૉયે જે તસવીર શેર કરી છે તેમાં ભાજપના અનેક નેતા જોવા મળી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, યુપી પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ અંતિમ દર્શન કરતા જોવા મળી રહ્યા છે.’

આ ટ્વીટ પર ટીએમસીના જ એક નેતા રિજૂ દત્તાએ કોમેન્ટ કરી છે. તેમણે લખ્યું છે કે, લાગે છે કે ભાજપ આપણા દેશના તિરંગા કરતા મોટી છે…. શરમજનક. આ તરફ કોંગ્રેસી નેતાઓએ પણ તસવીર શેર કરી છે. 

યુથ કોંગ્રેસના અધ્યક્ષ બીવી શ્રીનિવાસે તસવીર શેર કરીને સવાલ કર્યો હતો કે, શું ભારતના ઝંડાની ઉપર કોઈ પાર્ટીનો ઝંડો રાખવો યોગ્ય છે? અન્ય એક ટ્વીટમાં તેમણે લખ્યું હતું કે, ‘સ્વ. કલ્યાણ સિંહજીના અવસાન પર વિનમ્ર શ્રદ્ધાંજલિ, પરંતુ આ તસવીરને જોઈ એક સવાલ છે કે, શું કોઈ પાર્ટીનો ઝંડો તિરંગાથી પણ ઉપર હોઈ શકે છે? રાષ્ટ્રીય ધ્વજનું અપમાન-માતૃભૂમિનું સન્માન કરવાની નવી પદ્ધતિ છે?’

Share: