પાર્ટી યુવાનો છોડે છે, જવાબદાર અમને બુઢ્ઢાઓને માનવામાં આવે છેઃ સુષ્મિતા દેવના રાજીનામા મુદ્દે સિબ્બલ

પાર્ટી યુવાનો છોડે છે, જવાબદાર અમને બુઢ્ઢાઓને માનવામાં આવે છેઃ સુષ્મિતા દેવના રાજીનામા મુદ્દે સિબ્બલ


– સુષ્મિતા બંગાળના દિગ્ગજ નેતા સંતોષ મોહન દેવની દીકરી છે. તે આસામની સિલ્ચર સીટ પરથી સાંસદ તરીકે પણ ચૂંટાઈ હતી.

નવી દિલ્હી, તા. 16 ઓગષ્ટ, 2021, સોમવાર

કોંગ્રેસના પૂર્વ સાંસદ સુષ્મિતા દેવે કોંગ્રેસ પાર્ટી છોડી દીધી છે અને તેને લઈ કોંગ્રેસ પાર્ટીની અંદર જ સવાલો ઉઠી રહ્યા છે. કાર્તિ ચિદંબરમ આ અંગે વિચાર કરવા જણાવી રહ્યા છે તો બીજી બાજુ કપિલ સિબ્બલે યુવાન નેતાઓ આ રીતે કોંગ્રેસ છોડી રહ્યા છે તે અંગે સવાલ ઉઠાવ્યો છે. 

કાર્તિ ચિદંબરમે સુષ્મિતા દેવના રાજીનામા પર લખ્યું હતું કે, ‘આપણે એ વાત મુદ્દે ગહન વિચાર કરવાની જરૂર છે કે, સુષ્મિતા દેવ જેવા લોકો પાર્ટી છોડીને શા માટે જઈ રહ્યા છે. આ અંગે વિચાર કરવાથી પાછા ન હટવું જોઈએ.’

કપિલ સિબ્બલે લખ્યું હતું કે, ‘સુષ્મિતા દેવે કોંગ્રેસ પાર્ટીની પ્રાથમિક સદસ્યતામાંથી રાજીનામુ આપી દીધું છે. જ્યારે યુવાન નેતાઓ છોડીને જાય છે તો અમારા જેવા બુઢ્ઢાઓને તેને મજબૂત કરવા માટેના અમારા પ્રયત્નો માટે દોષી ઠેરવવામાં આવે છે. પાર્ટી આગળ વધતી રહે છે. આંખો સરખી રીતે બંધ કરીને.’

TMCમાં જોડાઈ શકે છે સુષ્મિતા દેવ

મમતા બેનર્જીની પાર્ટીના સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે સુષ્મિતા ટીએમસીના નેતૃત્વના સંપર્કમાં છે અને ટૂંક સમયમાં જ કોલકાતા જઈને મમતા બેનર્જી કે અભિષેક બેનર્જીને મળી શકે છે. ઉલ્લેખનીય છે કે, સુષ્મિતા બંગાળના દિગ્ગજ નેતા સંતોષ મોહન દેવની દીકરી છે. તે આસામની સિલ્ચર સીટ પરથી સાંસદ તરીકે પણ ચૂંટાઈ હતી. હાલ તે ઓલ ઈન્ડિયા મહિલા કોંગ્રેસની અધ્યક્ષ હતી. 

Share: