સત્તા બદલાઈ તો સૂર પણ બદલાયો, નેપાળે કહ્યું – ભારત સ્પેશિયલ છે, ચીન ભારતનું સ્થાન લઈ શકે નહીં

સત્તા બદલાઈ તો સૂર પણ બદલાયો, નેપાળે કહ્યું – ભારત સ્પેશિયલ છે, ચીન ભારતનું સ્થાન લઈ શકે નહીં

નવી દિલ્હી, 14 ઓગસ્ટ 2021 શનિવાર

નેપાળમાં નેપાળી કોંગ્રેસની સરકાર છે. 13 ઓગસ્ટના રોજ શેર બહાદુર દેઉબા પીએમ બન્યાને એક મહિનો થઈ ગયો છે. અગાઉ કેપી શર્મા ઓલી પીએમ હતા. તેમના પીએમ રહેવા દરમિયાન ભારત-નેપાળ વચ્ચેના સંબંધો વણસી ગયા હતા. હવે નેપાળી કોંગ્રેસે ભારત અને ચીન વિશે કહ્યું છે કે ચીન ભારતનું સ્થાન ‘ખાસ’ પાડોશી તરીકે બદલી શકતું નથી. 

પાર્ટીએ લિમ્પિયાધુરા-કાલાપાની-લિપુલેખ મુદ્દાને વાતચીત દ્વારા ઉકેલવા પર ભાર મુક્યો છે. તાજેતરમાં, પીએમ દેઉબાએ તેમના ગઠબંધન સાથીઓ સાથે મળીને કોમન મિનિમમ પ્રોગ્રામ શરૂ કર્યો છે. નેપાળે ગયા વર્ષે લીમ્પિયાધુરા-કાલાપાની-લિપુલેખ વિસ્તારને તેના નકશામાં ઉમેરી આ વિસ્તાર પર દાવો કર્યો હતો.

મિડિયા રિપોર્ટ મુજબ નેપાળનાં પૂર્વ નાણાં રાજ્ય મંત્રી અને નેપાળી કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઉદય શમશેર રાણાએ કહ્યું છે કે નેપાળ ‘પડોશી પહેલા’ નાં સિદ્ધાંત પર કામ કરવાનું ચાલુ રાખશે. આ સાથે, જ અમે અન્ય દેશો સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવીશું. તેમણે કહ્યું છે કે, ‘નેપાળને બીજિંગની જરૂર છે અને ચીન અમારૂ સારૂ પાડોશી રહ્યું છે, પરંતુ ભારત ખાસ છે. 

ચીન ભારતનું સ્થાન લઈ શકતું નથી. તેમણે વધુમાં કહ્યું કે પીએમ દેઉબાએ મુદ્દાઓને વધુ સારી રીતે ઉકેલવા પડશે, કારણ કે તેઓ એક નાજુક ગઠબંધન સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે. દેઉબાએ ગઠબંધન સાથીઓને સાથે લેતી વખતે ભારત તેમજ ચીન સાથે સ્થિર સંબંધો જાળવવા પડશે.

Share: