વાઘ દિવસ નિમિત્તે વિશેષઃ કોર્બેટ પાર્કમાં વાઘોની સંખ્યા થઈ 250

વાઘ દિવસ નિમિત્તે વિશેષઃ કોર્બેટ પાર્કમાં વાઘોની સંખ્યા થઈ 250


– જિમ કોર્બેટ ખાતે કેમેરા દ્વારા વનના રસ્તાઓ વગેરે પર નજર રાખવામાં આવી રહી છે

નવી દિલ્હી, તા. 29 જુલાઈ, 2021, ગુરૂવાર

આજે વાઘ દિવસ નિમિત્તે એક તરફ વાઘની વસ્તીમાં થઈ રહેલો વધારો મનને તસલ્લી આપે છે તો બીજી બાજુ સતત વધી રહેલા મૃત્યુ અને શિકારની ઘટનાઓ ચિંતા વધારે છે. સંખ્યાની રીતે જોઈએ તો પ્રકૃત્તિએ એક તક આપી છે, કોર્બેટ પાર્ક અને અમાનગઢ વન રેન્જમાં વાઘોની સંખ્યા 250 સુધી પહોંચી ગઈ છે. વાઘ અંગે સકારાત્મક અને નકારાત્મક એમ બંને પાસાઓ પર ચર્ચા કરવાની અને સંરક્ષણને કાગળો પરથી ધરાતલ પર ઉતારવાની જરૂર છે. 

બિજનૌરના કાલાગઢ ખાતે કોર્બેટ ટાઈગર રિઝર્વમાં વાઘોની સંખ્યા 250 થઈ ગઈ છે. 48 વર્ષ પહેલા કોર્બેટ નેશનલ પાર્કમાં વાઘ પરિયોજનાની શરૂઆત કરવામાં આવી હતી. વાઘોના સંરક્ષણ માટે રાષ્ટ્રીય વાઘ પ્રાધિકરણની ગાઈડલાઈન મીલનો પથ્થર સાબિત થઈ છે. 

1972માં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ બન્યા બાદ કોર્બેટ ટાઈગર રિઝર્વમાં 1 એપ્રિલ, 1973ના રોજ વાઘ પરિયોજનાની શરૂઆત કરવામાં આવી હતી. સૌથી પહેલા નેશનલ પાર્કના ઢિકાલા ઝોનમાં તેને લાગુ કરવામાં આવી હતી. તે સમયે આખા દેશમાં માત્ર 268 વાઘ જ ઉપસ્થિત હતા. 

હાલ ફક્ત કોર્બેટ ટાઈગર રિઝર્વમાં જ 250 વાઘ ઉપસ્થિત હોવાનો દાવો વન વિભાગના અધિકારીઓ કરે છે. વાઘોના સંરક્ષણ માટે ચલાવવામાં આવતી વાઘ પરિયોજનાને રાષ્ટ્રીય વાઘ પ્રાધિકરણ દ્વારા મળતા દિશા-નિર્દેશોથી ગતિ મળી. કોર્બેટ ટાઈગર રિઝર્વમાં વાઘોના સંરક્ષણ માટે થયેલા કામોના કારણે ત્યાં સમૃદ્ધ વન અને તેમાં રહેલા શાકાહારી જીવ વાઘોના અસ્તિત્વ માટે ખાસ છે. 

રામગંગા નદી છે લાઈફ લાઈન

કોર્બેટ ટાઈગર રિઝર્વ વચ્ચેથી પસાર થતી રામગંગા નદી વન્યજીવો માટે લાઈફ લાઈન છે. આ નદી દ્વારા જ વાઘને કાલાગઢથી ઢિકાલા સુધી પૂરતું પાણી મળી રહે છે. રામગંગા નદીની ઘાટી અને શિવાલિકની પહાડીઓમાં વાઘોનું વિચરણ સામાન્ય છે. 

સુરક્ષાની વ્યવસ્થા

કાલાગઢના ઉપખંડ અધિકારી કુંદન સિંહ ખાતીના કહેવા પ્રમાણે જિમ કોર્બેટમાં સૌથી વધારે વાઘ કાલાગઢના જંગલોમાં છે. તેમની સુરક્ષા માટે પેટ્રોલિંગ દળો ઉપરાંત ઉચ્ચ સ્તરીય ટેક્નોલોજીનો પણ સહારો લેવામાં આવી રહ્યો છે. વન ઈ-સર્વિલાન્સ પર છે. કેમેરા દ્વારા વનના રસ્તાઓ વગેરે પર નજર રાખવામાં આવી રહી છે. 

Share: