પંજાબ કોંગ્રેસમાં ઘમાસાણ, અધ્યક્ષ બન્યા બાદ સિધ્ધુનુ શક્તિ પ્રદર્શન, 62 ધારાસભ્યો ઘરે પહોંચ્યા

પંજાબ કોંગ્રેસમાં ઘમાસાણ, અધ્યક્ષ બન્યા બાદ સિધ્ધુનુ શક્તિ પ્રદર્શન, 62 ધારાસભ્યો ઘરે પહોંચ્યા

નવી દિલ્હી,તા.21 જુલાઈ 2021,બુધવાર

પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ નવજોત સિધ્ધુએ શક્તિ પ્રદર્શન કર્યુ છે. આજે સિધ્ધુએ પંજાબના કોંગ્રેસી ધારાસભ્યોને પોતાની ઘરે બ્રેકફાસ્ટ માટે બોલાવ્યા હતા અને 62 ધારાસભ્યો તેમના ઘરે પહોંચ્યા હતા.

બીજી તરફ સીએમ કેપ્ટન અ્મરિન્દરસિંહ સિધ્ધુ અગાઉ તેમની સામે કરેલા નિવેદનો માટે માફી માંગે તે વાત પર અડેલા છે ત્યારે આજે ધારાસભ્યોએ કહ્યુ હતુ કે, સિધ્ધુએ માફી માંગવાનો કોઈ મુદ્દો જ નથી. ઉલટાનુ લોકોના કેટલાક મુદ્દાઓ એવા છે જેનુ સમાધાન કેપ્ટને કર્યુ નથી. આ માટે તેમણે માફી માંગવી જોઈએ.

સિધ્ધુના અધ્યક્ષ બન્યા બાદ કેપ્ટનની છાવણીના ધારાસભ્યો સિધ્ધુ તરફ જઈ રહ્યા છે. અમરિન્દર સિંહના નિકટના ધારાસભ્યો પણ સિધ્ધુના પક્ષમાં જઈ રહ્યા છે. બીજી તરફ કેપ્ટન પોતાના જૂથની તાકાત વધારવા માટે પ્રયત્ન કરી રહ્યા છે.

કોંગ્રેસી હાઈકમાન્ડે સિધ્ધુને કોંગ્રેસ અધ્યક્ષ બનાવીને તેમની તરફેણ કરી છે પણ કેપ્ટન હાર માનવા તૈયાર નથી. કેપ્ટન અમરિન્દરસિંહે નિવેદન કર્યુ છે કે, જ્યાં સુધી સિધ્ધુ અગાઉ કરેલા નિવેદનો માટે માફી નહી માંગે ત્યાં સુધી સિધ્ધુ સાથે મુલાકાતનો સવાલ જ ઉભો થતો નથી.

Share: