કેરાલાઃ દેશમાં સૌથી વધારે કોરોના કેસ પણ બકરી ઈદ પહેલા બજારો ખોલવાની મંજૂરી

કેરાલાઃ દેશમાં સૌથી વધારે કોરોના કેસ પણ બકરી ઈદ પહેલા બજારો ખોલવાની મંજૂરી

નવી દિલ્હી,તા.17.જુલાઈ.2021

દેશમાં કેરાલા એક એવુ રાજ્ય છે જ્યાં કોરોનાના કેસ સતત વધી જ રહ્યા છે.અહીંયા કોરોનાનો કહેર વધારે હોવા છતા કેરાલા સરકારે બકરી ઈદના તહેવાર નિમિત્તે કોરોનાના પ્રતિબંધો હળવા કરી દીધા છે.

સરકારે જાહેરાત કરી છે કે, 18 થી 20 જુલાઈ દરમિયાન  એ, બી અને સી કેટેગરીમાં જરુરી સામાન વેચનારી દુકાનો સિવાય કપડા, શૂઝ, ઈલેક્ટ્રોનિક, જ્વેલરીની દુકાનો રાત્રીના આઠ વાગ્યા સુધી ખોલવા માટે પરવાનગી અપાશે.

રસપ્રદ વાત એ છે કે, આ નિર્ણય કેરાલા સરકારે એ જ દિવસે લીધો છે જ્યારે સુપ્રીમ કોર્ટે યુપીમાં કાવડ યાત્રા માટે અપાયેલી પરવાનગીને લઈને વાંધો ઉઠાવ્યો છે.

કેરાલામાં હાલમાં કોરોનાની સ્થિતિ ચિંતા કરાવે તેવી છે.કારણકે સૌથી વધારે એક્ટિવ કેસ કેરાલામાં છે.આ સિવાય રાજય પર ઝીકા વાયરસનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે.આ સંજોગોમાં 21 જુલાઈએ બકરી ઈદ પહેલા બજારો ખુલ્લા રાખવા દેવાના સરકારના નિર્ણય સામે સવાલો ઉઠવા સ્વાભાવિક છે.

કેરાલામાં મુસ્લિમો સામાન્ય રીતે અરબ દેશોમાં જે દિવસે તહેવાર હોય તે દિવસે તહેવારની  ઉજવણી કરે છે પણ આ દિવસે 21 જુલાઈના રોજ દેશના બીજા હિસ્સાની જેમ 21 જુલાઈએ જ બકરી ઈદ મનાવવામાં આવશે તેમ સ્થાનિક ધર્મગુરુઓના હવાલાથી કહેવાયુ છે.

Share: