કેન્દ્રના કર્મચારીઓ – પેન્શનરોના ડીએમાં 11 ટકાનો વધારો

કેન્દ્રના કર્મચારીઓ – પેન્શનરોના ડીએમાં 11 ટકાનો વધારો


– કેન્દ્રીય કેબિનેટના નિર્ણયથી 48.34 લાખ કર્મચારીઓ અને 65.26 લાખ પેન્શનરોને લાભ થશે 

– એક જુલાઇ, 2021થી ડીએ 17 ટકાને બદલે 28 ટકા મળશે : જો કે એક જાન્યુઆરી, 2020થી 30 જૂન, 2021 સુધીનું એરિયર્સ નહીં મળે

– સરકારી તિજોરી પર વાર્ષિક 34,401 કરોડ રૂપિયાનો બોજ પડશ

– કોરોનાને પગલે છેલ્લા દોઢ વર્ષથી ડીએમાં વધારો કરાયો ન હતો

નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર સરકારે એક જુલાઇ, ૨૦૨૧થી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોનો રોકી દીધેલ ડીએ(ડિયરનેસ એલાઉન્સ) અને ડીઆર(ડીયરનેશ રિલીફ)માં વધારો કરવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને ૧૭ ટકા ડીએ મળતું હતું. સરકારે એક જુલાઇ, ૨૦૨૧થી ડીએ ૧૧ ટકા વધારી ૨૮ ટકા વધારો કરવાનો નિર્ણય લીધો છે. 

માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ડીએમાં ૧૧ ટકા વધારો કરવાના નિર્ણયથી સરકારી તિજોરી પર વાર્ષિક ૩૪,૪૦૧ કરોડ રૂપિયાનો બોજ પડશે. 

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે છેલ્લા દોઢ વર્ષથી ડીએમાં વધારો કર્યો ન હતો. સરકારે જાન્યુઆરી, ૨૦૨૦ અને જુલાઇ, ૨૦૨૦ તથા જાન્યુઆરી, ૨૦૨૧નો ડીએનો વધારો ચૂકવ્યો ન હતો. 

સરકારના આ નિર્ણયથી કેન્દ્ર સરકારના ૪૮.૩૪ લાખ કર્મચારીઓ અને ૬૫.૨૬ લાખ પેન્શનરોને લાભ થશે. ઠાકુરે એક નિવેદનમાં જણાવ્યું છે કે સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓના ડીએ અને કેન્દ્રીય પેન્શનરોના ડીઆરમાં એક જુલાઇ, ૨૦૨૧થી ૧૧ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. સરકારે ડીએ ૧૭ ટકાથી વધારી ૨૮ ટકા કરવાનો નિર્ણય લીધો છે. 

કેન્દ્ર સરકારે એક નિવેદનમાં જણાવ્યું છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને હાલમાં ૧૭ ટકા ડીએ ચૂકવવામાં આવે છે જે વધારીને ૨૮ ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે એક જાન્યુઆરી, ૨૦૨૦થી ૩૦ જૂન, ૨૦૨૧ સુધીનું ડીએ એરિયર્સ ચૂકવવામાં આવશે નહીં. 

કેન્દ્રીય કેબિનેટ દ્વારા લેવાયેલા અન્ય મહત્ત્વપૂર્ણ નિર્ણયો

કેન્દ્રના લિસ્ટમાં ઓબીસીમાં પેટા કેટેગરી પાડવાના મુદ્દાની સમીક્ષા કરવા રચાયેલા પંચની મુદ્દત છ મહિના વધારવાનો નિર્ણય લીધો છે. 

ભારતના આરોગ્ય મંત્રાલય અને ડેનમાર્ક વચ્ચે હેલ્થ અને મેડિસિનના ક્ષેત્રમાં સહકાર વધારવા માટે થયેલા એમઓયુને મંજૂરી આપી છે. 

નેશનલ આયુશ મિશનને વધુ પાંચ વર્ષ એટલે કે ૨૦૨૬ સુધી સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ તરીકે ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. 

ડિપાર્ટમન્ટ ઓફ એનિમલ હસ્બન્ડરી અને ડેરીની પુન: રચના કરવાના નિર્ણયને મંજૂરી આપી છે. આ ઉપરાંત ૫૪,૬૧૮ કરોડ રૂપિયાના લિવરેજ ઇન્વેસ્ટમેન્ટ માટે સ્પેશિયલ લાઇવસ્ટોક પેકેજને મંજૂરી આપી છે. 

સરકારે ગારમેન્ટ નિકાસકારો માટે માર્ચ, ૨૦૨૪ સુધી આરઓઅસસીટીએલ (રીબેટ ઓફ સ્ટેટ એન્ડ સેન્ટ્રલ ટેક્સિસ એન્ડ લેવિસ) સ્કીમને મંજૂરી આપી છે. 

Share: