1983 વર્લ્ડકપના હીરો અને પૂર્વ ક્રિકેટર યશપાલ શર્માનુ હાર્ટએટેકથી નિધન

1983 વર્લ્ડકપના હીરો અને પૂર્વ ક્રિકેટર યશપાલ શર્માનુ હાર્ટએટેકથી નિધન

નવી દિલ્હી,તા.13.જુલાઈ.2021

પૂર્વ ક્રિકેટર અને 1983ની વિશ્વ વિજેતા ભારતીય ટીમના સભ્ય યશપાલ શર્માનુ હાર્ટ એટેકના કારણે નિધન થયુ છે.યશપાલ શર્માના નિધન બાદ પૂર્વ ક્રિકેટર અ્ને વિશ્વ વિજેતા ટીમના કેપ્ટન કપિલ દેવ પોતાના આંસુ રોકી શક્યા નહોતા.

શર્મા ક્રિકેટ બોર્ડના પૂર્વ સિલેક્ટર પણ રહ્યા હતા.ભારત માટે 37 ટેસ્ટમાં તેમણે 1606 રન બનાવ્યા હતા અને એક સદી ફટકારી હતી.જ્યારે વન ડે ક્રિકેટમાં તેમણે 42 મેચોમાં 28.48ના એવરેજથી 883 રન બનાવ્યા હતા.

1983 વર્લ્ડકપમાં યશપાલ શર્મા હીરો રહ્યા હતા.ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામે વિજયથી શરુઆત કરી હતી.જેમાં શર્માએ 120 બોલમાં 89 રનની ઈનિંગ રમી હતી.આ સિવાય ઓસ્ટ્રેલિયા સામે આક્રમક 40 રન અને ઈંગ્લેન્ડ સામે મુશ્કેલ સ્થિતિમાં 61રનની ઈનિંગ રમી હતી.જેના કારણે ભારત આ મેચો જીતી શક્યુ હતુ.શર્માએ ટુર્નામેન્ટમાં 34.28ની એવરેજથી 240 રન કર્યા હતા.

તેમણે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ 1983માં અને છેલ્લી વન ડે 1985માં રમી હતી.

યશપાલ શર્માને આજે સવારે હાર્ટ એટેક આવ્યો હતો.તેઓ તેમની પાછળ પત્ની અને ત્રણ બાળકોને છોડી ગયા છે.તેમના બાળકો વિદેશમાં અભ્યાસ કરે છે.તેમના સાથી ખેલાડી અને પૂર્વ ઓલરાઉન્ડર મદનલાલે કહ્યુ હતુ કે, મને વિશ્વાસ નથી આવતો કે યશપાલ શર્મા હવે રહ્યા નથી.

સાથી ક્રિકેટર કીર્તિ આઝાદે કહ્યુ હતુ કે, 25 જૂને જ મારી તેમની સાથે મુલાકાત થઈ હતી.તેઓ તે વખતે ખુશ હતા.તેઓ ટીમના સૌથી ફિટ ખેલાડીઓ પૈકીના એક હતા.આજે યશપાલ શર્મા મોર્નિંગ વોક પર ગયા હતા.તેઓ પાછા ફર્યા ત્યારે તેમને છાતીમાં દુખાવો થયો હતો.એ પછી તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા.

Share: