લોકો કોરોના પ્રોટોકોલનું પાલન કર્યા વિના પર્યટન કરે છે, નિયંત્રણોમાં અપાયેલી છૂટ પાછી ખેંચી લઇશું: આરોગ્ય મંત્રાલય

લોકો કોરોના પ્રોટોકોલનું પાલન કર્યા વિના પર્યટન કરે છે, નિયંત્રણોમાં અપાયેલી છૂટ પાછી ખેંચી લઇશું: આરોગ્ય મંત્રાલય

નવી દિલ્હી, 6 જુલાઇ 2021 મંગળવાર

કોરોના સંક્રમણની બીજી લહેર નબળી પડવા અને નિયંત્રણો હળવા કરાયા બાદ લોકો પર્યટન પર નિકળી પડ્યા છે. એટલું જ નહીં, મનાલી, શિમલા જેવા હિલ સ્ટેશનોથી એવી પણ તસવીરો આવી છે, જેમાં લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા જરૂરી નિયમોનું પાલન કરતા જોવા મળતા નથી. 

દરમિયાન, કેન્દ્ર સરકારે કહ્યું છે કે જો લોકો નિયમોનું યોગ્ય રીતે પાલન નહીં કરે તો ફરી એકવાર પ્રતિબંધોમાં અપાયેલી છૂટછાટ પાછી ખેંચી શકાય છે. આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યું, ‘જે લોકો કોરોના પ્રોટોકોલ તોડે છે તે કોરોનાની બીજી લહેરને નિયંત્રિત કરવામાં મળેલી સફળતા પર પાણી ફેરવી શકે છે.’

લવ અગ્રવાલે કહ્યું, ‘લોકો હિલ સ્ટેશનો તરફ પ્રયાણ કરી રહ્યા છે. આ લોકો કોરોના પ્રોટોકોલનું પાલન નથી કરી રહ્યા, જો આવું થશે, તો પછી અમે આપેલી છૂટછાટ પણ પાછી ખેંચી લઇશું. તેમણે કહ્યું કે કોરોનાનો બીજો લહેર હજી ગઇ નથી. તે હજી પણ આપણી વચ્ચે મર્યાદિત સ્વરૂપમાં હાજર છે. 

તેમણે કહ્યું કે દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા હવે 5 લાખથી ઓછી છે. જોકે, તેમણે હજુ પણ મહારાષ્ટ્ર, તામિલનાડુ, ઓડિશા, આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, મેઘાલય અને સિક્કિમને ચિંતાનું કારણ ગણાવ્યું. આ રાજ્યોમાં હજી પણ 10% કરતા વધુના પોઝિટિવિટી રેટ સાથે નવા કેસો નોંધાઇ રહ્યા છે.

Share: