યોગીજીને અડકી બતાવો, હૈદ્રાબાદ પગપાળા જવુ પડશેઃ ઓવૈસીને રવિ કિશનનો પડકાર

યોગીજીને અડકી બતાવો, હૈદ્રાબાદ પગપાળા જવુ પડશેઃ ઓવૈસીને રવિ કિશનનો પડકાર

નવી દિલ્હી,તા.6 જુલાઈ 2021,મંગળવાર

યુપીમાં વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી વચ્ચે રાજકીય ટકરાવ જોવા મળી રહ્યો છે ત્યારે હવે તેમાં ભોજપુરી ફિલ્મોના અભિનેતા અને ગોરખપુરના ભાજપ સાંસદ રવિ કિશન પણ કુદી પડ્યો છે.

તાજેતરમાં એક ટીવી ડિબેટમાં ઓવૈસીએ સીએમ યોગી આદિત્યનાથને આગામી વર્ષની ચૂંટણીમાં સત્તા પરથી બહાર ફેંકી દેવાનુ નિવેદન આપ્યુ હતુ.

જેના જવાબમાં હવે રવિ કિશને કહ્યુ છે કે, ઓવૈસીજીએ મહારાજજીને ટીવી ચેનલ પર ચેલેન્જ આપી છે. ઓવૈસી સાહેબ તમારી સાથે સંસદમાં મુલાકાત થતી હોય છે અને 19મીથી ફરી લોકસભા શરૂ થવાની છે. ત્યાં પણ હું કહીશ. યુપીની 24 કરોડની જનતા, ભાજપનુ સંગઠન, હિન્દુ યુવા વાહિની સંગઠન તમારી ચેલેન્જ સ્વીકારે છે. મહારાજજીને હરાવવાની વાત તો દૂર રહી તમે અડકી તો બતાવો, પગપાળા હૈદ્રાબાદ પાછા જવુ પડશે.

રવિ કિશને કહ્યુ હતુ કે, યોગી આદિત્યનાથ બ્રહ્મચર્યનુ પાલન કરનારા છે. તેઓ રોજ અઢી કલાક આરતી કરતા સન્યાસી છે. તેમના તેજથી ઓવૈસીજી તમે નષ્ટ થઈ જશો.

ઉલ્લેખનીય છે કે, ઓવૈસીએ યોગીને પડકાર ફેંક્યો છે કે, 2022માં તમને સીએમ નહીં બનવા દઈએ. ઓવૈસીની પાર્ટી ઓમ પ્રકાશ રાજભર અને બાબુ સિંહ કુશવાહાના ભાગીદારી સંકલ્પ મોરચા સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડવાની છે અને 100 બેઠકો પર ચૂંટણી લડવાની પણ તેમણે જાહેરાત કરેલી છે.

Share: