રસીના ભાવ અંગે સીરમ ઇન્સિટ્યુટનુ સ્પષ્ટીકરણ : શરુઆતમાં એડવાન્સ ફંડિગના કારણે રસી સસ્તી હતી, ખાનગી હોસ્પિટલોને સિમિત માત્રામાં મળશે

રસીના ભાવ અંગે સીરમ ઇન્સિટ્યુટનુ સ્પષ્ટીકરણ : શરુઆતમાં એડવાન્સ ફંડિગના કારણે રસી સસ્તી હતી, ખાનગી હોસ્પિટલોને સિમિત માત્રામાં મળશે

નવી દિલ્હી, તા. 24 એપ્રિલ 2021, શનિવાર

એક તરફ કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે આગામી પહેલી મેથી 18 વર્ષથી ઉપરના તમામ લોકોને કોરોના રસી આપવામાં આવશે. તો બીજી તરફ કોવિશીલ્ડ રસીનું ઉત્પાદન કરનાર પુણેની સીરમ ઇન્સ્ટિટ્યુટ દ્વારા રસીના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. જે મુદ્દે અત્યારે વિવાદ શરુ થયો છે. સીરમ ઇન્સ્ટિટ્યુટ દ્વારા જાહેર કરવામાં આવેલા ભાવ પ્રમાણ ખાનગી હોસ્પિટલોને કોરોના રસી 600 રુપિયામાં મળશે. ત્યારે હવે એવા સવાલો ઉઠી રહ્યા છે કે સીરમ ઇન્સ્ટિટ્યુટ દુનિયામાં સૌથી વધારે મોંગી રસી ભારતને કેમ આપે છે. 

ત્યારે હવે સીરમ ઇન્સ્ટિટ્યુટે આ અંગે એક નિવેદન આપીને સ્પષ્ટતા કરી છે. સીરમ ઇન્સ્ટિટ્યુટે કહ્યું કે ખાનગી હોસ્પિટલોને સિમિત માત્રામાં રસી આપવામાં આવશે. કંપનીએ કહ્યું કે 600 રુપિયામાં વેચવા છતા રસીની કિંમત અન્ય ઉપચારો કરતા ઓછી છે. 

કંપનીએ કહ્યું કે ભારત સહિત દુનિયાભરમાં થઇ રહેલા રસીકરણ અભિયાનમાં સરકારો ઘણી ઓછી કિંમત પર રસીની ખરીદી કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજાર અને ભારતમાં વેક્સિનની સરખામણી કરવી ખોટી છે. શરુઆતમાં રસીની કિંમત ઘણી ઓછી રાખવામાં આવી હતી કારણ કે રસીના નિર્માણ અને સંશોધન માટે ઘણા દેશોએ એડવાન્સ ફંડિંગનું જોખમ લીધું હતું.

કંપનીએ કહ્યું કે આજે પણ કોવીશિલ્ડ દુનિયામાં સૌથી સસ્તી કોરોના વેક્સિન છે. વર્તમાન સ્થિતિ ઘણી પડકારજનક છે. વાયરસ સતત મ્યુટેંટ થઇ રહ્યો છે અને લોકોની જિંદગી જોખમમાં છે. આ અનિશ્ચિતતાને જોઇને અમારે ઉત્પાદન વધારવા અને વિસ્તાર કરવા માટે ફંડિંગની જરુર પડશે. જેથી અમે પુરી ક્ષમતા સાતે આ મહામારી સાથે લડી શકીએ.

Share: