×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

2 શાદીઓ, સાઉદીમાં નોકરી, ભ્રષ્ટાચારનો આરોપ.. જાણો ઈસ્લામ છોડીને હિંદુ બનેલા વસીમ રિઝવીની કુંડળી


- રિઝવીએ કુતુબ મીનાર પરિસરમાં સ્થિત મસ્જિદને હિંદુસ્તાનની ધરતી પરનું કલંક ગણાવ્યું હતું

નવી દિલ્હી, તા. 06 ડિસેમ્બર, 2021, સોમવાર

ઉત્તર પ્રદેશ શિયા વક્ફ બોર્ડના પૂર્વ ચેરમેન વસીમ રિઝવીએ સોમવારે ઈસ્લામ ધર્મ છોડીને હિંદુ ધર્મ અપનાવી લીધો છે. આ સાથે જ વસીમ રિઝવીનું નવું નામ હવે જિતેન્દ્ર નારાયણ ત્યાગી થઈ ગયું છે. હિંદુ ધર્મ અપનાવ્યા બાદ તેમણે કહ્યું કે, જ્યારે મને ઈસ્લામમાંથી હાંકી કાઢવામાં આવ્યો તો પછી હવે હું કયો ધર્મ સ્વીકાર કરૂં તે મારી મરજી છે. સનાતન ધર્મ વિશ્વનો સૌથી પહેલો ધર્મ છે, તેમાં જેટલી સારપ છે તેટલી અન્ય કોઈ ધર્મમાં નથી. 

2017થી ચર્ચામાં

ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર સત્તામાં આવી ત્યારથી જ વસીમ રિઝવીનું નામ સતત ચર્ચામાં છે. તેમણે દેશની 9 મસ્જિદો હિંદુઓને સોંપવાની વાત ઉઠાવી હતી. કુતુબ મીનાર પરિસરમાં સ્થિત મસ્જિદને હિંદુસ્તાનની ધરતી પરનું કલંક ગણાવ્યું હતું. મદરેસાઓની તાલીમને આતંકવાદ સાથે જોડી હતી. કુરાનની 26 આયાતો હટાવવા માટે સુપ્રીમ કોર્ટમાં જનહિતની અરજી દાખલ કરી હતી. આ બધી ઘટનાઓ બાદ શિયા અને સુન્ની સમુદાયના ઉલેમાઓએ ફતવો બહાર પાડીને તેમને ઈસ્લામમાંથી કાઢી મુક્યા હતા. 

મુસ્લિમો ઉપરાંત તેમના પરિવારના સદસ્યો, માતા, ભાઈ વગેરેએ પણ તેમના સાથેનો છેડો ફાડી નાખ્યો હતો. 

ફેમિલી બેકગ્રાઉન્ડ

હિંદુ ધર્મ અપનાવનારા વસીમ રિઝવીનો જન્મ શિયા મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેમના પિતા રેલવેના કર્મચારી હતા પરંતુ રિઝવી ક્લાસ-6માં હતા ત્યારે જ તેમનું અવસાન થયું હતું. ત્યાર બાદ રિઝવી અને તેમના ભાઈ-બહેનોની જવાબદારી તેમના માતા પર આવી ગઈ હતી. તેઓ પોતાના ભાઈ-બહેનોમાં સૌથી મોટા હતા અને 12મા ધોરણ સુધીનો અભ્યાસ કર્યા બાદ સાઉદી આરબમાં એક હોટેલમાં નોકરી કરવા માટે જતા રહ્યા હતા. ત્યાર બાદ તેમણે જાપાન અને અમેરિકામાં પણ કામ કર્યું હતું. 

બાદમાં તેઓ લખનૌ પરત આવ્યા હતા અને પોતાનું કામ ચાલુ કર્યું હતું જેથી તેમને તમામ લોકો સાથે સારા સંબંધો બંધાવા લાગ્યા હતા અને તેમણે નગર નિગમની ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો. ત્યાંથી જ તેમની રાજકીય કરિયર શરૂ થઈ હતી. ત્યાર બાદ તેઓ શિયા મૌલાના કલ્બે જવ્વાદની નજીક આવ્યા હતા અને શિયા વક્ફ બોર્ડના સદસ્ય બન્યા હતા. તેમણે 2 શાદીઓ કરી અને બંને લખનૌમાં થઈ હતી. તેમને પહેલી પત્નીથી 3 સંતાનો છે જેમાં 2 દીકરી અને એક દીકરો છે. ત્રણેય બાળકોની શાદી થઈ ચુકી છે. 

કલ્બે જવ્વાદ સાથે ગાઢ સંબંધ

2003ના વર્ષમાં મુલાયમ સિંહ યાદવ જ્યારે યુપીના મુખ્યમંત્રી બન્યા ત્યારે વક્ફ મંત્રી આઝમ ખાનની ભલામણના કારણે સપા નેતા મુખ્તાર અનીસને શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. પરંતુ અનીસના કાર્યકાળ દરમિયાન મૌલાના કલ્બે જવ્વાદે હજરતગંજ ખાતે એક વક્ફ સંપત્તિ વેચવાનો આકરો વિરોધ કરેલો અને અનીસે ચેરમેન પદેથી હટવું પડ્યું હતું. ત્યાર બાદ 2004માં મૌલાના કલ્બે જવ્વાદની મુલાયમ સિંહ યાદવને ભલામણથી વસીમ રિઝવીને શિયા વક્ફ બોર્ડના ચેરમેન બનાવવામાં આવેલા. 

2007માં વિધાનસભા ચૂંટણી બાદ માયાવતીની સરકાર બની ત્યાર બાદ રિઝવી સપા છોડીને બસપામાં જોડાયા હતા. 2009માં શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડે પોતાનો 5 વર્ષનો કાર્યકાળ પૂરો કરી લીધો. ત્યાર બાદ નવા શિયા બોર્ડની રચના વખતે મૌલાના કલ્બે જવ્વાદની સહમતિથી તેમના બનેવી જમાલુદ્દીન અકબરને ચેરમેન બનાવવામાં આવ્યા અને તે બોર્ડમાં રિઝવી સદસ્ય તરીકે પસંદગી પામ્યા. ત્યાંથી જ વસીમ રિઝવી અને મૌલાના જવ્વાદ વચ્ચે રાજકીય વર્ચસ્વની જંગ છેડાઈ.

રિઝવી અને જવ્વાદ વચ્ચેનો જંગ

2010ના વર્ષમાં શિયા વક્ફ બોર્ડ પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા તો તત્કાલીન ચેરમેન જમાલુદ્દીન અકબરે રાજીનામુ આપી દીધું અને વસીમ રિઝવી ફરી એક વખત વક્ફ બોર્ડના અધ્યક્ષ પદે આવ્યા. 3 વર્ષ બાદ 2012માં સત્તા પરિવર્તન થયું અને સપા સરકાર બની તેના 2 મહિના બાદ 28 મેના રોજ વક્ફ બોર્ડનો ભંગ કરી દેવામાં આવ્યો. વસીમ રિઝવી અને આઝમ ખાન વચ્ચેના અંગત સંબંધોના કારણે 2014ના વર્ષમાં તેમને વક્ફ બોર્ડના ચેરમેન બનાવાયા જેથી મૌલાના જવ્વાદે સપા સરકાર સામે મોરચો માંડી દીધો. 

મૌલાના જવ્વાદે પોતાના સમર્થકો સાથે રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યા પરંતુ આઝમ ખાનના રાજકીય પ્રભાવના કારણે વસીમ રિઝવી વક્ફ બોર્ડના અધ્યક્ષ બની રહ્યા. 2017ના વર્ષમાં સત્તા પરિવર્તન બાદ રિઝવીએ પોતાના રાજકીય તેવર સંપૂર્ણપણે બદલી નાખ્યા. 18 મે, 2020ના રોજ રિઝવીનો શિયા વક્ફ બોર્ડના ચેરમેન તરીકેનો કાર્યકાળ પૂર્ણ થયો પરંતુ તેમની વાપસી ન થઈ શકી. જોકે તેઓ હજુ પણ શિયા વક્ફ બોર્ડના સદસ્ય છે. 

ભ્રષ્ટાચારના આરોપો

વસીમ રિઝવી પર અનેક વક્ફ સંપત્તિઓમાં ભ્રષ્ટાચાર કરવાના આરોપ લાગ્યા જેને લઈ તમામ FIR નોંધાઈ. કલ્બે જવ્વાદના પ્રભાવમાં યોગી સરકારે વક્ફ સંપત્તિઓ પર થયેલા ગેરકાયદેસર કબજાની તપાસ સીબીસીઆઈડીના હવાલે કરી દીધી. હવે આ કેસ સીબીઆઈના હવાલે છે. 5 જિલ્લાઓમાં ધાંધલી મામલે રિઝવી સહિત કુલ 11 લોકો પર કેસ દાખલ છે. સીબીઆઈએ પ્રાંતની શિયા વક્ફ સંપત્તિઓને ગેરકાયદેસર રીતે વેચવા, ખરીદવા અને હસ્તાંતરિત કરવાના આરોપમાં કેસ નોંધ્યો છે.