1962ના ભારત-ચીન યુદ્ધનું કારણ બનેલા હાઈવે નજીકમાં જ રેલવે લાઇન પાથરી રહ્યું છે ડ્રેગન

1962ના ભારત-ચીન યુદ્ધનું કારણ બનેલા હાઈવે નજીકમાં જ રેલવે લાઇન પાથરી રહ્યું છે ડ્રેગન

image : wikipedia

નવી દિલ્હી, તા 13, ફેબ્રુઆરી, 2023, રવિવાર

લદાખને પચાવી પાડવાનો ઈરાદો ધરાવતા ચીને હવે અક્સાઈ ચિનમાં પેગોંગ સરોવર સુધી રેલવે લાઈન પાથરવાની શરૂઆત કરી છે. ચીનની આ મહત્ત્વકાંક્ષી રેલવે લાઈન શિજિયાંગ અને તિબેટને જોડશે. તે એલએસીની એકદમ નજીકથી પસાર થશે. તિબેટ સ્વાયત્ત ક્ષેત્રની સરકારે આ રેલવે લાઈન અંગે માહિતી આપી હતી. 

આ રેલવે લાઈનનો આ પ્રથમ તબક્કો 2025 સુધી પૂર્ણ થઈ જશે

ચીનનો રેલવે લાઈનનો આ પ્રથમ તબક્કો 2025 સુધી પૂર્ણ થઈ જશે. બાકીની રેલવે લાઈન હોટાન સુધી જશે અને તેનું કામ 2035 સુધીમાં પૂરું કરવાનું લક્ષ્ય છે. એક અહેવાલ અનુસાર ચીન વતી તિબેટ માટે મધ્યમ અને લાંબાગાળાની રેલવે યોજના ગત અઠવાડિયે જ જાહેર કરવામાં આવી હતી. 

ચીનનું આ નવું રેલવે નેટવર્ક ભારત અને નેપાળ સરહદ નજીકથી પસાર થશે

આ રેલવે યોજના હેઠળ રેલવે લાઈનને 1400 કિ.મી.થી વધારીને 2025 સુધીમાં 4000 કિ.મી. સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે. ચીનનું આ નવું રેલવે નેટવર્ક ભારત અને નેપાળ સરહદ નજીકથી પસાર થશે. તેમાં સૌથી મહત્ત્વકાંક્ષી યોજના શિંજિયાંગ-તિબેટ રેલવે લાઈન છે. આ રેલવે લાઈન G219 નેશનલ હાઈવની નજીકમાંથી પસાર થશે. અક્સાઈ ચિનમાંથી પસાર થતા શિંજિયાંગ-તિબેટ હાઇવેને કારણે ભારત અને ચીન વચ્ચે તણાવ વધ્યું હતું અને તેના પછી 1962માં આ મુદ્દે યુદ્ધ થઈ ગયું હતું. હવે આ રેલવે લાઇન પણ તિબેટમાં શિગાત્સેથી શરૂ થશે અને ઉત્તર-પશ્ચિમમાં નેપાળ બોર્ડરથી થઇને પસાર થશે. તે અક્સાઈ ચિન થઈને શિંજિયાંગ પ્રાંતના હોટાનમાં ખતમ થશે. 

Share: