12 ફ્લાઈટ ડાયવર્ટ, 11 કેન્સલ : મુસાફરો હેરાન, ગાઢ ધુમ્મસમાં ઢંકાયું વારાણસી એરપોર્ટ

12 ફ્લાઈટ ડાયવર્ટ, 11 કેન્સલ : મુસાફરો હેરાન, ગાઢ ધુમ્મસમાં ઢંકાયું વારાણસી એરપોર્ટ

નવી દિલ્હી, તા.09 જાન્યુઆરી-2023, સોમવાર

ગાઢ ધુમ્મસ અને લો વિઝિબિલિટીના કારણે વારાણસી એરપોર્ટ પર સોમવારે ઘણી ફ્લાઈટો રદ અથવા ડાયવર્ટ કરવામાં આવી છે, જેના કારણે એરપોર્ટ ભારે અફરા-તફરી અને લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. ફ્લાઈટ કેન્સલ થવાના કારણે ઘણા મુસાફરોએ એરપોર્ટ પર જ જમાવડો કરી દીધો છે. ખરાબ હવામાનના કારણે ઘણી એરલાઈન્સ કંપનીઓએ વારાણસીથી આવતી અને જતી ફ્લાઈટોને અન્ય સ્થળે ડાયવર્ટ કરી દીધી છે, તો કેટલીક ફ્લાઈટો કેન્સલ કરી દીધી છે. વિસ્તારાએ ટ્વિટ કરીને કહ્યું કે, વારાણસી વિમાની મથક પર લો વિઝિબિલિટીના કારણે મુંબઈ-વારાણસીની એક ફ્લાઈટને રાયપુર જ્યારે દિલ્હી-વારાણસીની એક ફ્લાઈટને દિલ્હી માટે ડાયવર્ટ કરી દેવામાં આવી છે.

લેન્ડ કરવાની મંજુરી ન મળી

વારાણસી બાબતપુર એરપોર્ટ પર ગાઢ ધુમ્મસના કારણે આજે સાંજે માત્ર શાહજહાની ફ્લાઈટનું લેન્ડીંગ થઈ શકી હતી, જ્યારે લો વિઝિબિલિટીના કારણે એર ટ્રાફિક કંટ્રોલ દ્વારા ઘણી ફ્લાઈટોને વારાણસી એરપોર્ટ પર લેન્ડીંગની મંજૂરી અપાઈ ન હતી. ભયાનક ધુમ્મસ હોવાના કારણે બાબતપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દિવસ દરમિયાન કોઈપણ ડોમેસ્ટિક ફ્લાઈટનું લેન્ડીંગ થયું ન હતું.

12 ફ્લાઈટ ડાયવર્ટ, 11 કેન્સલ

વારાણસી તરફ આવનારી 12 ફ્લાઈટોને દેશના 12 એરપોર્ટ પર ડાયવર્ટ કરાયા છે. વારાણસી એરપોર્ટ પરથી 11 ફ્લાઈટો કેન્સલ કરવામાં આવી છે. આ અસુવિધાના કારણે વારાણસી એરપોર્ટ પર દિવસભર મુસાફરો પરેશાન જોવા મળ્યા છે. અચાનક ફ્લાઈટ ડાયવર્ટ કરવાના કારણે લોકોએ ઘણી સમસ્યાઓનો સામનો કર્યો. એક સોશિયલ મીડિયા યુઝર્સે આ મામલે ટ્વિટર પર લખ્યું છે કે, તેની પત્ની અને 1 મહિનાનું બાળક વારાણસી એરપોર્ટ પર ફસાયેલા છે.

Share: