હિમાચલમાં 'આફત'નો દોર, સોલનમાં આભ ફાટ્યું, 7 લોકોના મોત, બે ઘર ધરાશાયી, રસ્તાઓ બંધ

હિમાચલમાં 'આફત'નો દોર, સોલનમાં આભ ફાટ્યું, 7 લોકોના મોત, બે ઘર ધરાશાયી, રસ્તાઓ બંધ

IANS

હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર આભ ફાટવાની ઘટના બનતાં કુદરતના કહેર યથાવત્ રહ્યો છે. આ વખતે સોલનમાં મમલીકના ધાયાવલા ગામમાં આભ ફાટવાની ઘટના બની હતી. સોલનના ડીસી મનમોહન શર્માના જણાવ્યાનુસાર આભ ફાટવાની ઘટનાને લીધે 7 લોકો મૃત્યુ પામ્યા જ્યારે 6ને બચાવી લેવાયા હતા. આ ઘટના મોડી રાતે બની હતી. 

બે મકાનો ધોવાઈ ગયા 

માહિતી અનુસાર સોલન જિલ્લાના કંડાઘાટમાં આ ઘટના બની હતી. અહીં મમલીગ ગામમાં આભ ફાટવાની ઘટના બાદ પૂર આવ્યું હતું અને બે ઘરો ધોવાઈ ગયા હતા. આ ઘટનામાં કુલ સાત લોકો મૃત્યુ પામ્યા. પરિવાર બે સભ્યો રિતુ રમામ અને કમલેશને બચાવી લેવાયા હતા. બાકી સાત લોકો મૃત્યુ પામી ગયા હતા. 

રસ્તો જ ધોવાઈ જતાં બચાવ કામગીરી મુશ્કેલ થઈ 

માહિતી અનુસાર જ્યાં આભ ફાટવાની ઘટના બની હતી ત્યાં બંને તરફથી રસ્તો ધોવાઈ ગયો હતો અને તેના લીધે રેસ્ક્યૂ ટીમને બચાવ કામગીરી કરવામાં ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં કાટમાળમાંથી ચાર શબ કાઢવામાં સફળતા મળી હતી. એક નાની બાળકીનું શબ પણ મળ્યું છે. આ બધા એક જ પરિવારના સભ્યો હોવાની માહિતી મળી રહી છે. ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશમાં હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. 

સીએમ સુક્ખુએ શોક વ્યક્ત કર્યો 

સોલનમાં આભ ફાટવાની ઘટનામાં સાત લોકોના મોત પર સીએમ સુખવિંદર સુક્ખુએ ટ્વિટ પર દુઃખ વ્યક્ત કરતાં ટ્વિટ કરી કે અમે તંત્રને દરેક સંભવ મદદના આદેશ આપ્યા છે. આ હૃદયદ્રાવક ઘટના છે. આ મુશ્કેલ સમય છે. 

Share: