સોનિયા ગાંધીના નિવાસસ્થાન અને કોંગ્રેસ હેડકવાર્ટરનું 17.82 લાખ ભાડું ચૂકવવાનું બાકી: RTIમાં ખુલાસો

સોનિયા ગાંધીના નિવાસસ્થાન અને કોંગ્રેસ હેડકવાર્ટરનું 17.82 લાખ ભાડું ચૂકવવાનું બાકી: RTIમાં ખુલાસો


– સોનિયા ગાંધીએ 10 જનપથનું ભાડું નથી ચૂકવ્યું, ઓફિસ-ઘર ખાલી કરવાની મુદત આઠ વર્ષ પહેલાં સમાપ્ત થઈ ચૂકી છે

દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી વચ્ચે એક બાદ એક અહેવાલ રજૂ થઈ રહ્યાં છે જેના થકી મતદારોનો મૂડ ચેન્જ કરી શકાય. આજે બહાર આવેલ એક આરટીઆઈની વિગતો અનુસાર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી લાંબા સમયથી પોતાના લ્યુટિયન બંગલાના ભાડાની ચૂકવણી નથી કરી રહ્યાં.

એક્ટિવિસ્ટ સુજિત પટેલ દ્વારા ફાઈલ કરવામાં આવેલ એક RTIના જવાબ અનુસાર ગાંધી પરિવારે લાંબા સમયથી દિલ્હીમાં તેમના ફાળવવામાં આવેલા ત્રણ બંગલાઓનું ભાડું ચૂકવ્યું નથી. આ સાથે તેમના હેડકવાર્ટરનું ભાડું પણ એક દાયકાથી નથી ચૂકવાયું.

કોંગ્રેસ નેતાઓના આ ત્રણ બંગલા 26 અકબર રોડ, 10 જનપથ અને ચાણક્યપુરીમાં છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસે 26 અકબર રોડ અને ચાણક્યપુરી સ્થિત બંગલામાં ઓફિસ બનાવી છે, જ્યારે 10 જનપથ સોનિયા ગાંધીનું ઘર છે. 

ગુજરાતના સુજિત પટેલના આરટીઆઈના જવાબમાં શહેરી આવાસ મંત્રાલયે બાકી ભાડા અંગે માહિતી આપી છે. 26 અકબર રોડના બંગલા એટલેકે હેડકવાર્ટરનું બાકી ભાડું રૂ.12,69,902 રૂપિયા છે.તેનું અંતિમ ભાડું  ડિસેમ્બર 2012માં ચૂકવવામાં આવ્યું હતુ. ચાણક્યપુરી બંગલાનું ભાડું ઓગસ્ટ 2013થી બાકી છે, જેની સરકારી રકમ 5,07,911 રૂપિયા છે. 

આ સિવાય સોનિયા ગાંધીના સત્તાવાર નિવાસસ્થાન 10 જનપથનું ભાડું પણ સપ્ટેમ્બર 2020 થી ચૂકવવામાં આવ્યું નથી જેની બાકી રકમ 4610 રૂપિયા છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને ફાળવવામાં આવેલ ઘર દેશના અન્ય નેતાઓની સરખામણીમાં સૌથી મોટું છે. વડાપ્રધાનના નિવાસસ્થાન 7 રેસકોર્સ કરતા પણ મોટું છે.

સેન્ટ્રલ પબ્લિક ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, વડા પ્રધાનનું નિવાસસ્થાન 14,101 ચોરસ મીટરના ક્ષેત્રફળમાં બનેલું છે, જ્યારે સોનિયા ગાંધીનું નિવાસસ્થાન 15,181 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે, જે 7RCR કરતાં ઘણું મોટું છે.

ઓફિસ-ઘર ખાલી કરવાની મુદત આઠ વર્ષ પહેલાં સમાપ્ત થઈ

જુની એક આરટીઆઈ અનુસાર કોંગ્રેસને દિલ્હીમાં તેની ઓફિસ બિલ્ડિંગ બનાવવા માટે 2010માં જમીન આપવામાં આવી હતી. નિયમ અનુસાર જમીન ફાળવ્યાના ત્રણ વર્ષમાં કોંગ્રેસે બિલ્ડીંગ બનાવી લેવાની હતી અને 2013 સુધીમાં ચાર બંગલા ખાલી કરવાના હતા. 

શહેરી વિકાસ મંત્રાલય હેઠળના એસ્ટેટ નિયામક દ્વારા 26 જૂન, 2013ના રોજ તેમની ફાળવણી રદ કરવામાં આવી હતી. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીએ ત્રણ વર્ષનો વધારાનો સમય માંગ્યો હતો. જે બાદ 2017માં પણ કોંગ્રેસને નોટિસ મોકલવામાં આવી હતી. હાલમાં પણ આ બંગલા કોંગ્રેસના કબજામાં છે અને તેનું ભાડું માર્કેટ રેટ કરતા ઘણું ઓછું હોવા છતાં કોંગ્રેસે લાંબા સમયથી ભાડું ચૂકવ્યું નથી. 

Share: