સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનોની દોષિતોની મુક્તિ પર કરેલી રિવ્યુ પિટિશનની અરજી ફગાવી

સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનોની દોષિતોની મુક્તિ પર કરેલી રિવ્યુ પિટિશનની અરજી ફગાવી
IMAGE : @SupremeCourtIND Twitter

અમદાવાદ, 17 ડિસેમ્બર 2022, શનિવાર

ગુજરાતમાં 2002ના ગોધરાકાંડ પછીના રમખાણોની પીડિતા બિલ્કીસ બાનોને સુપ્રીમ કોર્ટમાંથી રાહત ફરી એક વખત આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટ હવે બિલકિસ બાનોના દોષિતોની સમય પહેલા મુક્તિ પર વિચાર કરવા માંગતી નથી. સુપ્રીમ કોર્ટે 11 દોષિતોની મુક્તિ સામે બિલકિસ બાનો દ્વારા દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજીને ફગાવી દીધી છે. બિલ્કિસ બાનોએ તેની અરજીમાં 11 દોષિતોને મુક્ત કરવાના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો હતો અને મે 2022ના નિર્ણય પર પુનર્વિચાર કરવાની વિનંતી કરી હતી.

માફી અરજીઓ પર નિર્ણય લેવાનો અધિકાર ગુજરાત સરકારને છે : સુપ્રીમ કોર્ટે
સુપ્રીમ કોર્ટે તે ચુકાદામાં કહ્યું હતું કે 11 દોષિતોની માફી અરજીઓ પર નિર્ણય લેવાનો અધિકાર ગુજરાત સરકારને છે. આમ છતાંપણ મહારાષ્ટ્રમાં ટ્રાયલ ચલાવવામાં આવી હતી. અરજીને ફગાવી દેતા પહેલા આ મામલે ઝડપી સુનાવણીની માંગ પર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તમે એક જ બાબતનો વારંવાર ઉલ્લેખ ન કરો. આ બાબત ખૂબ જ પરેશાન કરે છે.

બિલ્કિસ બાનોએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો
પીડિતા બિલ્કિસ બાનોએ 11 દોષિતોની અકાળે મુક્તિને પડકારવા મામલે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો અને તમામ દોષિતોને જેલમાં પાછા મોકલવાની માંગ કરી હતી. આ પહેલા જસ્ટિસ બેલા. એમ. ત્રિવેદી બિલ્કીસ બાનોની અરજી પર સુનાવણી કરવાથી ખસી ગયા હતા.

બિલકીસ બાનોએ કહ્યું હતું કે ન્યાય પ્રત્યેનો વિશ્વાસ તૂટી ગયો
આ પહેલા બિલકીસ બાનોએ કહ્યું હતું કે તેના અને તેના પરિવારના સાત લોકો સંબંધિત કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 11 દોષિતોની અકાળે મુક્તિથી તેનો ન્યાય પ્રત્યેનો વિશ્વાસ તૂટી ગયો છે. બિલ્કીસ બાનો ગેંગરેપ અને પરિવારના સાત સભ્યોની હત્યાના દોષિત તમામ 11 લોકોને 15 ઓગસ્ટના રોજ ગોધરા સબ-જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. ભાજપની આગેવાની હેઠળની ગુજરાત સરકારે તેમને માફ કર્યા હતા.

Share: