સુપ્રીમ કોર્ટે નુપુર શર્માને આપી રાહત, 10 ઓગસ્ટ સુધી ધરપકડ પર મૂક્યો સ્ટે

સુપ્રીમ કોર્ટે નુપુર શર્માને આપી રાહત, 10 ઓગસ્ટ સુધી ધરપકડ પર મૂક્યો સ્ટે

નવી દિલ્હી, તા. 19 જુલાઈ 2022, મંગળવાર

નુપુર શર્માની અરજી પર આજે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે તેમને વચગાળાની રાહત આપી છે. નુપુર શર્માની ધરપકડ પર 10 ઓગસ્ટ સુધી સ્ટે મૂકવામાં આવ્યો છે. આ કેસની આગામી સુનાવણી તે જ દિવસે થશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને (જ્યાં પણ FIR દાખલ કરવામાં આવે છે)ને પણ નોટિસ ફટકારી છે. કોર્ટમાં નુપુર શર્માના વકીલે કહ્યું હતું કે, નુપુરને સતત ધમકીઓ મળી રહી છે.

પૈગંબર મોહમ્મદ અંગે ટિપ્પણી માટે વિવિધ રાજ્યોમાં 9 FIRનો સામનો કરી રહેલા નુપુર શર્માએ સુપ્રીમ કોર્ટમાં નવી અરજી દાખલ કરી હતી. તેની સુનાવણી મંગળવારે થઈ હતી.

નુપુરે પોતાની અરજીમાં કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના ટિપ્પણિયઓ (છેલ્લી સુનાવણી) બાદ તેમના જીવને જોખમ વધી ગયું છે. નુપુરે કોર્ટમાંથી ધરપકડ પર રોક લગાવવાની સાથે સાથે તમામ FIRને દિલ્હી ટ્રાન્સફર કરવાની પણ માંગ કરી હતી અને તેની સુનાવણી એક સાથે કરવામાં આવે.

સુપ્રીમ કોર્ટમાં નુપુરના વકીલ મનિંદર સિંહે કહ્યું હતું કે, દિલ્હીમાં જે એક FIR નોંધવામાં આવી છે તેના પર કાર્યવાહી કરવામાં આવે. બાકીની એફઆઈઆર એ જ કાર્યક્રમ અંગે હતી. આ તમામ FIR પર પ્રતિબંધ મૂકવો જોઈએ.  વધુમાં જણાવાયું હતું કે, કોઈ પણ ધરપકડ કે અટકાયત કરવી જોઈએ નહીં. જેમાં કહેવામાં આવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ મૂળભૂત અધિકારોની રક્ષક છે તેથી નૂપુરની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ.

તમને જણાવી દઈએ કે, નુપુર શર્મા ભાજપના પ્રવક્તા રહી ચુક્યા છે. તેમણે તાજેતરમાં એક ટીવી ડિબેટમાં પયગંબર મોહમ્મદ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. આ કારણે તેમના વિરૂદ્ધ અનેક રમખાણો અને ભારે વિરોધ ફાટી નિકળ્યો હતો. કુવૈત, યુએઈ, કતાર સહિતના તમામ મુસ્લિમ દેશોએ પણ તેમના નિવેદનની ટીકા કરી હતી. સાથે જ અનેક રાજ્યોમાં તેમની ધરપકડની માગ થવા લાગી હતી. નુપૂર શર્માને જાનથી મારી નાખવાની પણ ધમકીઓ મળી રહી છે. ત્યારબાદ ભાજપે નુપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.

Share: