સુપ્રીમ કોર્ટનો આદેશઃ સિંધુ બોર્ડર પર એક તરફનો રસ્તો ખાલી કરે ખેડૂતો

સુપ્રીમ કોર્ટનો આદેશઃ સિંધુ બોર્ડર પર એક તરફનો રસ્તો ખાલી કરે ખેડૂતો


–  ખેડૂતોને પ્રદર્શન કરવાનો અધિકાર છે પરંતુ રસ્તાઓ પર ટ્રાફિકને રોકી ન શકાયઃ કોર્ટ

નવી દિલ્હી, તા. 15 સપ્ટેમ્બર, 2021, બુધવાર

સુપ્રીમ કોર્ટે મંગળવારે કુંડલી-સિંધુ બોર્ડર પર ધરણાં ધરી રહેલા ખેડૂતોને એક બાજુનો રસ્તો ખાલી કરવા માટે કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે જનહિત અરજી પરની સુનાવણી દરમિયાન આ ચુકાદો આપ્યો હતો. કોર્ટે સોનીપત જિલ્લા પ્રશાસનને આદેશ આપ્યો હતો કે, નેશનલ હાઈવે 44 પર કુંડલી-સિંધુ બોર્ડર ખાતે પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પાસેથી એક બાજુનો રસ્તો સામાન્ય લોકોને અપાવવામાં આવે. 

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સોનીપત ડેપ્યુટી કમિશનર લલિત સિવાચ મંગળવારે કુંડલી-સિંધુ બોર્ડર પર ખેડૂત પ્રદર્શનકારીઓની વચ્ચે પહોંચ્યા હતા. તેમણે સુપ્રીમ કોર્ટનો આદેશ અને સામાન્ય લોકોને અનુભવાઈ રહેલી મુશ્કેલીનો હવાલો આપીને ખેડૂતોને રસ્તો ખાલી કરવા માટે વિનંતી કરી હતી. 

મોનિકા અગ્રવાલે કુંડલી-સિંધુ બોર્ડર પર એક તરફનો રસ્તો ખાલી કરાવવા માટે જનહિત અરજી દાખલ કરાવી હતી. ડેપ્યુટી કમિશનરના કહેવા પ્રમાણે આ અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે એનએચ 44 પર કુંડલી-સિંધુ બોર્ડર પર એક તરફનો રસ્તો સામાન્ય લોકો માટે ખાલી કરવા આદેશ આપ્યો છે. 

મોનિકાએ અરજીમાં જણાવ્યું હતું કે, નોએડાથી દિલ્હી જવામાં હવે તેમને 20 મિનિટના બદલે 2 કલાક થાય છે અને તેના પાછળનું કારણ ખેડૂતો દ્વારા કરવામાં આવેલો રસ્તા પરનો ચક્કાજામ છે. આ અંગેની સુનાવણી દરમિયાન જસ્ટિસ એસ.કે. કૌલએ સોલિસિટર જનરલ તુષાર મેહતાને કહ્યું કે, તમે આ સમસ્યાનું સમાધાન શા માટે નથી લાવી શકતા. ખેડૂતોને પ્રદર્શન કરવાનો અધિકાર છે પરંતુ રસ્તાઓ પર ટ્રાફિકને રોકી ન શકાય. 

Share: