સુનંદા પુષ્કર મૃત્યુ કેસમાં શશિ થરૂર તમામ આરોપોમાં નિર્દોષ જાહેર, 7.5 વર્ષ બાદ મળી રાહત

સુનંદા પુષ્કર મૃત્યુ કેસમાં શશિ થરૂર તમામ આરોપોમાં નિર્દોષ જાહેર, 7.5 વર્ષ બાદ મળી રાહત


– મૃત્યુના થોડા દિવસો પહેલા સુનંદા પુષ્કરે આરોપ લગાવ્યો હતો કે, તેમના પતિ થરૂરના એક પાકિસ્તાની પત્રકાર સાથે સંબંધ છે

નવી દિલ્હી, તા. 18 ઓગષ્ટ, 2021, બુધવાર

કોંગ્રેસી સાંસદ શશિ થરૂરને પત્ની સુનંદા પુષ્કરના મૃત્યુ મામલે દિલ્હીની કોર્ટમાંથી રાહત મળી ગઈ છે. દિલ્હીની રાઉજ એવન્યુ કોર્ટે સુનંદા પુષ્કરના મૃત્યુ કેસમાં શશિ થરૂરને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કરી દીધા છે. કોર્ટમાંથી રાહત મળ્યા બાદ શશિ થરૂરે કોર્ટનો આભાર માન્યો હતો અને પોતે 7.5 વર્ષથી આ ટોર્ચર અને દુખમાંથી પસાર થઈ રહ્યા હતા તેમ જણાવ્યું હતું. 

સુનંદા પુષ્કરનું મૃત્યુ 17 જાન્યુઆરી, 2014ના રોજ દિલ્હીની એક મોટી હોટેલમાં થયું હતું. મૃત્યુના થોડા દિવસો પહેલા સુનંદા પુષ્કરે આરોપ લગાવ્યો હતો કે, તેમના પતિ થરૂરના એક પાકિસ્તાની પત્રકાર સાથે સંબંધ છે. આ કેસમાં દિલ્હી પોલીસે શશિ થરૂર વિરૂદ્ધ કલમ 307, 498 A અંતર્ગત કેસ નોંધ્યો હતો. થરૂર પર પત્નીને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો અને તેમના સાથે ક્રૂરતાથી વર્તવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. 

ઝેરના કારણે મૃત્યુ

સુનંદા પુષ્કરના મૃત્યુનો કેસ તે સમયે ખૂબ હાઈપ્રોફાઈલ કેસ ગણાયો હતો. 29 સપ્ટેમ્બર, 2014ના રોજ એઈમ્સના મેડિકલ બોર્ડે સુનંદના મૃતદેહનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ દિલ્હી પોલીસને સોંપ્યો હતો. એ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, સુનંદાનું મૃત્યુ ઝેરના કારણે થયું છે. બોર્ડે કહ્યું હતું કે, અનેક એવા રસાયણો છે જે પેટમાં ગયા બાદ કે લોહીમાં ભળ્યા બાદ ઝેર બની જાય છે. 

Share: