સાણંદના માણકોલ ગામના સરપંચને રૂ. બે લાખની લાંચ લેતા ઝડપી લેવાયા

સાણંદના માણકોલ ગામના સરપંચને રૂ. બે લાખની લાંચ લેતા ઝડપી લેવાયા

અમદાવાદ,
ગુરૂવાર

અમદાવાદ જિલ્લાના સાણંદના તાલુકાના માણકોલ ગામના સરપંચને અમદાવાદ
ગ્રામ્યના લાંચ રૂશ્વત વિરોધી એકમના અધિકારીઓએ 
રૂપિયા બે લાખની લાંચ લેતા રંગેહાથે ઝડપી લીધો હતો. ફરિયાદી માણકોલ ગામની પોતાની
જમીન પર બાંઘકામ કરતા હતા ત્યારે સરપંચે વાંધા કાઢીને ૧૯ લાખની લાંચ માંગી હતી.
અમદાવાદમાં રહેતા બિલ્ડરની ૨૦ ગુંઠા જમીન માણકોલ ગામ પાસે આવેલી
હતી અને આ જમીન એનએ થયેલી હતી. જેમાં અગાઉ બાંધકામ કરાયું હતું. ત્યારબાદ બિલ્ડરે બાકીની
ખુલ્લી જગ્યા પર બાંધકામ શરૂ કર્યું ત્યારે માણકોલ ગામના સરપંચ અરવિંદ રાઠોડે ખોટા
વાંધા ઉભા કરીને બિલ્ડરનું અટકાવવા પ્રયાસ કર્યો હતો. જે બાદ સરપંચે કામ ફરીથી શરૂ
કરાવવાની ખાતરી આપીને તેના બદલામાં બિલ્ડર પાસેથી બે દુકાનોની માંગણી કરી હતી.ત્યારબાદ
૨૫ લાખની રોકડ માંગી હતી. ભારે રકઝકના અંતે ૧૯ લાખની રકમ નક્કી થઇ હતી. જે પૈકી બે
લાખ રૂપિયાને પ્રથમ હપતો આપવાનું ગુરૂવારે નક્કી થયું હતું.  જે અંગે બિલ્ડરે એસીબીમાં ફરિયાદ નોંધાવતા ટ્રેપ ગોઠવવામાં આવી હતી. અને માણકોલ પાસે આવેલા વૃતિ હોલીડે  હોમ્સ ખાતેથી સરપંચ અરવિંદ રાઠોડને લાંચ  લેતા ઝડપી લેવાયા હતા.

Share: